મણિપુરની વર્તમાન સરકાર એવી છે, જેના બે મંત્રી રાજ્યમાં હાજર જ નથી, તેઓ ઑનલાઈન કામ કરતા હોવાનો જયરામ રમેશનો આક્ષેપ

નવી દિલ્હી
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી આજે સેકમાઈથી કરોંગ, ત્યારબાદ નાગાલેન્ડ પહોંચી જશે. કોંગ્રેસે 14 જાન્યુઆરીએ બૌથલથી યાત્રા શરૂ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશ રાહુલની યાત્રા અંગે માહિતી આપી છે.
જયરામ રમેશે કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં પસાર થઈ રહેલા લોકો અને બસમાં લોકો સાથે વાતચીત કરી. અમને જાણવા મળ્યું કે મણિપુરના લોકો અને સંગઠનોએ રાજ્યમાં પારદર્શક, જવાબદાર સરકાર ઈચ્છે છે. લોકો સંવેદશનશીલ સરકાર ઈચ્છે છે. મણિપુરની વર્તમાન સરકાર એવી છે, જેના બે મંત્રી રાજ્યમાં હાજર જ નથી. તેઓ ઑનલાઈન કામ કરે છે. અહીંની ભાજપ સરકારના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદો પણ હજુ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શક્યા નથી.
કોંગ્રસ નેતા જયરામ રમેશે ગઈકાલે કહ્યું હતું કે, ‘લોકો અમને પૂછી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર કેમ ન આવ્યા? તમામ લોકો ઈચ્છે છે કે, રાહુલ ગાંધી આ મુદ્દાને સંસદમાં ઉઠાવે અને વડાપ્રધાન મોદીને કહે કે, તેઓ મણિપુર આવે અને અમને મળે.
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં મેઈતેઈ સમુદાયે કુકી સમુદાયની જેમ અનુસૂચિત આદિજાતિનો દરજ્જો આપવાની માંગ કરી હતી. ત્યારબાદ રાજ્યમાં ત્રીજી મેથી હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 130 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 60 હજારથી વધુ લોકોએને મજબૂરીમાં પોતાના ઘર છોડવા પડ્યા છે. આ સ્થિતિમાં પણ મણિપુરના મંત્રીઓ રાજ્યમાં હાજર નહીં હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે.
