મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આવનારા દિવસોમાં લેબર માર્કેટ્સ અને નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડવાની સંભાવના વ્યક્ત કરી

દાવોસ
આજથી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનૉમિક ફોરમ (ડબલ્યુઈએફ)ની બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં ‘ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટ’ જારી કરાયો છે. રિપોર્ટમાં 2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વિશ્વના 56 ટકા મુખ્ય અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, વર્તમાન વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદ જોવા મળી શકે છે. જ્યારે 10માંથી 7 અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે, વૈશ્વિક આર્થિક વિઘટનની પ્રક્રિયા વધુ ઝડપી બની શકે છે.
બેઠકના પ્રથમ દિવસે વૈશ્વિક સ્થિતિ-2024નો ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટ જારી કરાયો છે. રિપોર્ટ મુજબ 56 અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, 2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી જોવા મળી શકે છે, જ્યારે 53 ટકા અર્થશાસ્ત્રીઓના મત મુજબ, સ્થિતિ યથાવત્ રહેશે અથવા નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડશે.
આમાના મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આવનારા દિવસોમાં લેબર માર્કેટ્સ અને નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ નવા વર્ષમાં મોંઘવારી સંભાવના નથી, પરંતુ તમામ સેક્ટરમાં વિકાસનો આઉટલુક જુદો જુદો છે અને તેમાના એકપણ સેક્ટરમાં મજબુત આર્થિક વિકાસ થવાની શક્યતા જોવા મળી રહી નથી. ભારત અને અંગે કેટલાક અર્થશાસ્ત્રીઓનો મત છે કે, વૈશ્વિક પડકારો છતાં ભારત વિકસતા અર્થતંત્ર તરફ આગળ વધરું રહેશે. વૈશ્વિક પડકારોને પહોંચી વળવા અને મજબુત આર્થિક વૃદ્ધિ દર જાળવી રાખવામાં પણ ભારત સતત પ્રયત્નશીલ રહેશે, જેમાં તેને સફળતા પણ મળશે.
ડબલ્યુઈએફના મેનેજિંગ ડાયરેક્ટર સાદિયા જાહિદીએ કહ્યું કે, ‘મુખ્ય અર્થશાસ્ત્રીઓના દ્રષ્ટિકોણનો વર્તમાન રિપોર્ટ આગામી સમયમાં આર્થિક સ્થિતિમાં અનિશ્ચિતતા સર્જાવા તરફ ઈશારો કરી રહી છે. વધતા મતભેદો વચ્ચે આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રની કસોટી થઈ શકે છે. વિશ્વભરમાં મોંઘવારી ઘટી રહી છે, વિકાસની ગતિ અટકી ગઈ છે, નાણાંકીય સ્થિતિ કટોકટ ચાલી રહી છે, વૈશ્વિક વિવાદ પણ વધતો જઈ રહ્યો છે, ઉપરાંત અસમાનતામાં વધી રહી છે. આવી સ્થિતિમાં ટકાઉ, સમાવેશી આર્થિક વૃદ્ધિને ગતિ આપી શકે, તેવી વૈશ્વિક સહકારની તાત્કાલિક જરૂર છે.’
