ધોની ઉપરાંત કોહલી, હરભજન સિંહ અને સચિન તેંડુલકરને પણ આ મહોત્સવમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

રાંચી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 22 જાન્યુઆરીના રોજ યોજાનાર રામ મંદિર પ્રાણ પતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ધોનીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સહ-પ્રાંત સચિવ ધનંજય સિંહ તરફથી આ વિશેષ આમંત્રણ મળ્યું છે. હવે આ જોવું રસપ્રદ રહેશે કે ધોની આ મહોત્સવમાં ભાગ લેશે કે નહીં.
ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની એવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઇ ગયો છે જેમને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ધોની ઉપરાંત વિરાટ કોહલી, પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પણ આ મહોત્સવમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ધોનીને ગઈકાલે રાંચીમાં તેના નિવાસસ્થાને આમંત્રણ મળ્યું હતું. જ્યારે ધોનીને ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે ભાજપના પ્રદેશ સંગઠન મહાસચિવ કર્મવીર સિંહ પણ હાજર હતા.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દેશના 6,000થી વધુ લોકોને આમંત્રણ મોકલ્યું છે. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 22 જાન્યુઆરીએ દેશના જુદા-જુદા ક્ષેત્રના ઘણાં જાણીતા લોકોના સામેલ થવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં સામેલ થશે. તેમના સિવાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અયોધ્યા પહોંચી શકે છે.
