તેલંગણાના અધિકારીના ત્યાંથી 100 કરોડથી વધુની બેનામી સંપત્તી મળી

Spread the love

એસીબીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે

હૈદ્રાબાદ
તેલંગાણામાં એક સરકારી અધિકારીના ઘરે બુધવારે દરોડા પાડવા આવેલી એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમને ખજાનો મળ્યો હતો. સૂત્રોના અહેવાલ મુજબ એસીબીના અધિકારીઓએ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઓથોરિટી (ટીએસઆરઈઆરએ)ના સચિવ અને મેટ્રો રેલ પ્લાનિંગના અધિકારી શિવ બાલકૃષ્ણના ઘરે દરોડા પાડતા 100 કરોડ રૂપિયાથી પણ વધુની બેનામી સંપત્તિ હોવાનું જાણવા મળ્યું છે.
તેલંગાણામાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે રાજ્ય સરકારના અધિકારી શિવ બાલકૃષ્ણના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે દિવસભર ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન ટીમ 100 કરોડ કરતા પણ વધુ રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢવામાં સફળ રહી હતી. આ દરોડા આજે પણ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એસીબીને શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ લાંબા સમયથી ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી હતી. એસીબીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.
એસીબીના અધિકારીઓને શિવ બાલકૃષ્ણની પાસેથી 40 લાખ રોકડ, બે કિલો સોનું, 60 મોંધી ઘડિયાલો, 10 લેપટોપ, 14 સ્માર્ટફોન અને બેનામી સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત ટીમને ઘરમાંથી નોટો ગણવાનું મશીન પણ મળ્યું હતું. હાલમાં તપાસ એજન્સી બાલકૃષ્ણના બેંક લોકર અને અન્ય બેનામી સંપત્તિની પણ તપાસ કરી રહી છે. શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ પહેલા શિવ બાલકૃષ્ણ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (એચએમડીએ)ના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *