શરદી-ઉધરસ-દુઃખાવાની ત્રણ દવાઓના નવેસરથી ટ્રાયલનો આદેશ

Spread the love

ફિક્સ્ડ ડૉઝ કોમ્બિનેશનમાં ઉપલબ્ધ એક પેઈનકિલર ડ્રગ પણ તપાસના ઘેરામાં


નવી દિલ્હી
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી શરદી, ઉધરસ અને દુઃખાવાની ત્રણ દવાઓ હવે તપાસના દાયરામાં સંપડાઈ છે. કેન્દ્રીય દવા નિયામકે આ દવાઓ બનાવતી કંપનીઓને તેની અસર તથા સુરક્ષા તપાસ માટે નવેસરથી ટ્રાયલ કરવા કહ્યું છે. આ એ દવાઓ છે જે અનેકવાર શરદી-ઉધરસ વખતે અપાય છે. આ ઉપરાંત ફિક્સ્ડ ડૉઝ કોમ્બિનેશન (એપડીસીએસ) માં ઉપલબ્ધ એક પેઈનકિલર ડ્રગ પણ તપાસના ઘેરામાં છે.
માહિતી અનુસાર આ દવાઓનું વેચાણ છેલ્લાં 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી થઈ રહ્યું હતું. એક સિંગલ ડૉઝ આપવા બે કે તેનાથી વધુ દવાઓને મિલાવીને આપવાને એફડીસીએસ (ફિક્સડ ડોઝ કોમ્બિનેશન) કહેવાય છે.
એક અહેવાલ અનુસાર શરદી અને ઉધરસની જે દવાઓનું સુરક્ષા આકલન કરવા માટે નવેસરથી ટ્રાયલ કરવા સૂચન કરાયું છે તેમાંથી એકમાં પેરાસિટામોલ (એન્ટી પાયરેટિક), ફિનાઈલનફ્રાઈન હાઈડ્રોક્લોરાઈડ (નાક સંબંધિત શરદી-ઉધરસની દવા) અને કેફિન એનહાઈડ્રસ (પ્રોસેસ્ડ કેફિન) યુક્ત દવાઓ સામેલ છે. બીજી દવામાં કેફિન એન હાઈડ્રસ, પેરાસિટામોલ, હાઈડ્રોક્લોરાઈડ (મીઠું) અને ક્લોરફેનિરામાઇન મેલેટ (એન્ટી એલર્જી) દવા સામેલ છે.
સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી (સીડીએસસીઓ) એ ત્રીજી દવા એટલે કે પેઇન કિલર દવા માટે પોસ્ટ માર્કેટિંગ નિરીક્ષણની સલાહ આપી હતી જેથી તેની સુરક્ષા અને અસરને લઈને ડેટા તૈયાર કરી શકાય. આ દવા નોન સ્ટેરોઈડલ એન્ટી ઈન્ફ્લેમેટરી ડ્રગ હેઠળ આવે છે. આ દવામાં પેરાસિટામોલ, પ્રોપીફેનાજોન (એક એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક) અને કેફિન હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *