હિમાચલના ઓપરેશનમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરનો હાથ

Spread the love

અમરિંદરસિંહે ઉત્તર ભારતમાં એકમાત્ર કોંગ્રેસ સરકારને પણ તોડી પાડવા માટે ભાજપ વતી મોરચો સંભાળ્યો હતો

નવી દિલ્હી

સુખવિન્દર સિંહ સુક્ખુ હાલમાં હિમાચલ પ્રદેશમાં પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા છે, પરંતુ રાજ્યસભામાં કારમી હાર અને પછી સરકાર પર સંકટની બંને ઘટનાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને હચમચાવી મૂક્યું હતું. આ પર્વતીય રાજ્યમાં રાજકીય કટોકટી સર્જવા પાછળ કોનો હાથ હતો અને કોણ હતું માસ્ટરમાઇન્ડ તે અંગે સૂત્રો દ્વારા જે ચોંકાવનારું નામ જણાવાઈ રહ્યું છે તે ખરેખર તમને પણ ચોંકાવશે. 

સૂત્રોનું કહેવું છે કે આ સમગ્ર ઓપરેશન પાછળ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનો હાથ હતો. તેમણે ઉત્તર ભારતમાં એકમાત્ર કોંગ્રેસ સરકારને પણ તોડી પાડવા માટે ભાજપ વતી મોરચો સંભાળ્યો હતો. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પટિયાલાના રાજવી પરિવારના સભ્ય કેપ્ટન અમરિંદર સિંહ હિમાચલ પ્રદેશના રાજવી પરિવાર સાથે જોડાયેલા છે. આ પરિવાર પ્રતિભા સિંહ અને વિક્રમાદિત્ય સિંહનો છે. પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર અને વર્તમાન કોંગ્રેસ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને રાજીનામું આપવાની ધમકી આપી હતી.

વીરભદ્ર સિંહની પાંચ દીકરીઓમાંથી એકના લગ્ન કેપ્ટન અમરિંદર સિંહના દીકરીના દીકરા સાથે થયા છે. અપરાજિતા સિંહના લગ્ન કેપ્ટન અમરિંદર સિંહની પુત્રી જય ઈન્દર કૌરના પુત્ર અંગદ સિંહ સાથે થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેપ્ટન અમરિન્દર સિંહને હિમાચલના રાજવી પરિવાર સાથેના સંબંધોને કારણે આ ઓપરેશનની જવાબદારી સોંપવામાં આવી હતી.

એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “પંજાબના પૂર્વ મુખ્યમંત્રી હોવાના કારણે અને હિમાચલના રાજવીઓ સાથે સંબંધ ધરાવતા હોવાથી, તેઓ આ ઓપરેશન માટે ભાજપ માટે એક આદર્શ પસંદગી બન્યા હતા.” સૂત્રોએ જણાવ્યું હતું કે અમરિન્દર સિંહે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મત આપનારા કોંગ્રેસના છ ધારાસભ્યોને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં વારંવાર મદદ કરી હતી. કોંગ્રેસના છ ધારાસભ્યોને મતદાનના દિવસે ત્રણ અપક્ષ ધારાસભ્યો સાથે હરિયાણા લઈ જવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *