મોદી સરકારમાં બેકારી વધી, કેન્દ્રની 10 લાખ ખાલી જગ્યા ભરાશેઃ રાહુલ

Spread the love

કોંગ્રેસ તેના ઈલેક્શન મેનિફેસ્ટોમાં આ વચનની જાહેરાત કરે એવી શક્યતાઓ જણાઈ રહી છે

નવી દિલ્હી

સમગ્ર દેશમાં અત્યારે લોકસભા ચૂંટણીનો રંગ જામી ગયો છે. તેવામાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બેરોજગારી વધી રહી હોવાના મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે યુવાનોને યોગ્ય નોકરીઓની તક નથી મળી રહી. તેમણે સોમવારે વધુમાં કહ્યું હતું કે જો રાહુલ ગાંધી સત્તામાં આવશે તો ઈન્ડિયા ગઠબંધન લગભગ 10 લાખ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટની ખાલી જગ્યાઓ ભરશે. છેલ્લા 10 વર્ષમાં જે વેકેન્સી આવી છે તે બધી ફૂલફીલ થશે એવું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ તેના ઈલેક્શન મેનિફેસ્ટોમાં આ વચનની જાહેરાત કરે એવી શક્યતાઓ જણાઈ રહી છે. જોકે આના ફાઈનલ ડ્રાફ્ટને પી.ચિદંબરમની આગેવાની વાળી એઆઈસીસી કમિટિ ક્લિયર કરે તેવી સંભાવના જણાવાઈ રહી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું એના પડઘા પડી રહ્યા છે. તેમાં તેણે કહ્યું હતું કે દેશના યુવાનો તમે એક વાત નોટ કરી લેજો. નરેન્દ્ર મોદીની નીયત રોજગારી આપવાની છે જ નહીં. નવા પદ પર તેઓ ભરતી કરે એ તો દૂરની વાત રહી પરંતુ તે કેન્દ્ર સરકારની ખાલી પડેલી જગ્યાઓ પર પણ તાળુ લગાવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. જો સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્ર સરકારનાં આંકડાઓ પર નજર કરીએ તો 78 વિભાગોમાં 9 લાખ 64 હજાર પદો ખાલી છે.
મહત્ત્વપૂર્ણ વિભાગોમાં જ જોઈએ તો રેલવેમાં 2.93 લાખ, ગૃહ મંત્રાલયમાં 1.43 લખ અને રક્ષા મંત્રાલયયમાં 2.64 લાખ પદો ખાલી છે. શું કેન્દ્ર સરકાર પાસે આ વાતનો કોઈ જવાબ છે કે નહીં તેવું રાહુલ ગાંધીએ સવાલ કરીને પૂછ્યું હતું. આ સમયે 15 મુખ્ય વિભાગોમાં છે એમાં 30 ટકાથી વધુ પદ ખાલી કેમ છે એ પણ સવાલ ઉઠાવ્યો હતો.
રાહુલ ગાંધીએ ટ્વિટમાં વધુમાં કહ્યું હતું કે ખોટી ગેરંટીઓનો કોથળો લઈને ફરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જ કાર્યકાળમાં મોટી સંખ્યામાં આટલા બધા ખાલી નોકરીના પદો કેમ ભરી નથી શકતા? પરમેનેન્ટ નોકરીઓ આપવાને બોજ ગણી રહી હોય તેવી ભાજપ સરકાર સતત કેમ કોન્ટ્રાક્ટ સિસ્ટમને પ્રાધાન્ય આપી રહી છે. જ્યાં સુરક્ષા પણ નથી કે સન્માન પણ નથી.
રાહુલે વધુમાં કહ્યું કે ખાલી પડેલા પદ દેશના યુવાનોનો હક છે અને અમે આ હકને ભરવા માટે એક શાનદાર પ્લાન તૈયાર કર્યો છે. ઈન્ડિયાનો સંકલ્પ છે કે અમે યુવાનો માટે નોકરીના બંધ દરવાજા ખોલી દઈશું. બેરોજગારીના અંધારાને ચીરી નાખીશું અને યુવાનોનો ભાગ્યોદય કરી નવો સૂર્યોદય લાવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *