ભારતની પ્રથમ ઈનિંગ્સ 477 રનમાં સમેટાઈ જતાં 259 રનની સરસાઈ મળી હતી

ધર્મશાલા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ત્રીજા દિવસે પીઠ અકડાઈ જવાને કારણે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો ન હતો, તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યો છે. જણાવી દઈએ કે બુમરાહ આ ટીમનો વાઇસ કેપ્ટન છે.
બીસીસીઆઈએ ટ્વિટર પર પોસ્ટ કરીને રોહિતની ઈજા અંગે જાણકારી આપી હતી. બીસીસીઆઈએ લખ્યું, ‘કેપ્ટન રોહિત શર્મા ત્રીજા દિવસે પીઠ અકડાઈ જવાને કારણે મેદાનમાં ઊતર્યો ન હતો.’ જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના 218 રન સામે ભારતની પ્રથમ ઇનિંગ 477 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે 259 રનની લીડ મેળવી લીધી છે.
ભારતે ત્રીજા દિવસની શરૂઆત 8 વિકેટના નુકસાન પર 473 રનથી કરી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ અડધા કલાકમાં કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને આઉટ કરીને ભારતીય ઇનિંગને 477 રનમાં સમેટી દીધી હતી. જેમ્સ એન્ડરસને કુલદીપ યાદવ (30)ને આઉટ કરીને દિવસની પ્રથમ સફળતા હાંસલ કરી હતી. એન્ડરસને આ વિકેટ સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. કુલદીપ ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસનનો 700મો શિકાર બન્યો હતો. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનારો પ્રથમ ફાસ્ટ બોલર અને વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો હતો.
