અમદાવાદ
સનાતન હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણીમાં લાખો ભક્તો, સહયોગીઓ સામેલ થયા હતા.

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ, અમદાવાદ ખાતે ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કરી સૌએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો.
આ ભવ્ય અન્નકૂટની તૈયારીઓ છેલ્લાં 45 દિવસથી ચાલી રહી હતી. સમગ્ર અન્નકૂટની મંદિરમાં મૂર્તિઓ સમક્ષ ગોઠવણીને કુશળ આર્કિટેક્ટસ્ ના માર્ગદર્શન હેઠળ અત્યંત ઝીણવટપૂર્વક આયોજિત કરવામાં આવી હતી, જેમાં અન્નકૂટમાંની જે તે વાનગીઓને તેઓના પ્રકાર, સંખ્યા અને રંગ અનુસાર વર્ગીકૃત કરી ભગવાન સમક્ષ ગોઠવવામાં આવી હતી.
પૂજ્ય સંતો ઉપરાંત સમગ્ર અમદાવાદમાંથી સેંકડો યુવકો, પુરુષ હરિભક્તો ઉપરાંત 1500 કરતાં વધુ યુવતીઓ અને મહિલા હરિભક્તો દ્વારા છેલ્લાં એક મહિનામાં નિયમિતરૂપે દિવાળી અને અન્નકૂટને લગતી અનેકવિધ સેવાઓમાં ભક્તિસભર શ્રમદાન કરવામાં આવ્યું હતું.
અન્નકૂટ પ્રસાદનું વિતરણ ભક્તો અને દર્શનાર્થીઓની સાથે શહેરના અનેક મંદિરોમાં તથા અનેક ગરીબ, જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવ્યું.
અન્નકૂટની સાથે સાથે સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિના અજવાળાં પ્રસરાવી રહેલાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વૈશ્વિક કાર્યને ઉજાગર કરતી ‘ પ્રમુખસ્વામીના પગલે પગલે ‘ પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો સૌ અન્નકૂટ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.
