દિલ્હીની તીસહજારી કોર્ટ સંકુલમાં ફાયરિંગ, કોઈને ઈજા નહીં

Spread the love

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એરિયલ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો

નવી દિલ્હી

દેશની રાજધાની દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. પોલીસનું કહેવું છે કે વકીલો વચ્ચેની દલીલ બાદ આ ઘટના બની હતી.

દિલ્હીની કોર્ટમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. તીસ હજારી કોર્ટમાં વકીલો વચ્ચે પરસ્પર ચર્ચા અને ઉગ્ર બોલાચાલી બાદ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એરિયલ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં સાકેત કોર્ટમાં કડક સુરક્ષા હોવા છતાં એક વ્યક્તિએ એક મહિલા પર ગોળીઓ ચલાવી હતી, ત્યારબાદ હંગામો થયો હતો. વકીલોએ જણાવ્યું હતું કે મહિલા એક કેસના સંબંધમાં કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને મહિલાને મુખ્ય દરવાજાના પ્રવેશદ્વાર પાસે ગોળી મારી દેવામાં આવી હતી. હુમલાખોરની ઓળખ કામેશ્વર પ્રસાદ સિંહ ઉર્ફે બિનોદ સિંહ તરીકે થઈ છે, જે એક વકીલ છે. આરોપીને એક અલગ કેસમાં કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે હુમલાખોર વકીલે પીડિત મહિલાને 25 લાખ રૂપિયા આપ્યા હતા અને બાદમાં મહિલા પૈસા પરત કરવામાં આનાકાની કરી હતી.

ગયા વર્ષે 22મી એપ્રિલના રોજ રોહિણી કોર્ટમાં ફાયરિંગની ઘટના બની હતી. સુરક્ષા તપાસ દરમિયાન વકીલ અને કોર્ટની રક્ષા કરી રહેલા પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં બે વકીલોને ગોળી વાગી હતી. ગોળીબાર બાદ કોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *