ગીર જંગલમાં વન્યજીવો, ખાસકરીને એશિયાટિક સિંહોની સુરક્ષા માટે, વધુ 5 અંડરપાસ બંધાઈ રહ્યા છે

Spread the love

સિંહોની મૂવમેન્ટ પર વોચ રાખવા 115 કિમી વિસ્તારમાં AI-આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ લાગુ કરાશે

ગીર જંગલમાં વન્યજીવો, ખાસકરીને સિંહોની મૂવમેન્ટ માટે હાલ બે અંડરપાસ કાર્યરત છે. હવે સિંહોની સુરક્ષા વધારવા 5 વધુ અંડરપાસ માટે બાંધકામ હાથ ધરાઈ રહ્યું છે. આ ઉપરાંત, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહ વન્યજીવ અભયારણ્યની અંદર પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન હેઠળના દામનગર-પીપાવાવ સેક્શનના 115 કિમી વિસ્તારમાં સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમના (IDS) અમલીકરણને મંજૂરી આપી દેવાઈ છે. લોકો પાઇલટ્સ, સ્ટેશન માસ્ટર્સ અને કંટ્રોલ રૂમને રેલ્વે ટ્રેકની નજીક સિંહોની મૂવમેન્ટ વિશે એલર્ટ જનરેટ કરવા આ સિસ્ટમ બનાવાઈ છે, જેથી અકસ્માતોની રોકથામની કામગીરી હાથ ધરી શકાય. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા એક પ્રશ્નના જવાબમાં રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે 06 ફેબ્રુઆરી, 2026ના રોજ આ માહિતી પૂરી પાડી હતી.

મંત્રીના નિવેદન મુજબ, ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતું હાલનું રેલ્વે નેટવર્ક મીટરગેજ (MG) સેક્શન છે. આમાંના ઓળખાયેલા સિંહોની મૂવમેન્ટવાળા કોરિડોરમાં વન્યજીવોની સલામતી માટે ટ્રેનો ધીમીગતિએ દોડાવાય આવે છે.

રેલવે અને વન વિભાગ વચ્ચે સંકલન માટે, સમીક્ષા સમિતિઓ એટલે કે સર્કલ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ કમિટી અને રેન્જ લેવલ કમિટીની સ્થાપના કરાઈ છે. આ કમિટીઓની બેઠકો અનુક્રમે ત્રિમાસિક, દ્વિમાસિક અને માસિક ધોરણે યોજાય છે. આ બેઠકોમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓને રેલવે સક્રિયપણે ઉકેલી રહ્યું છે.

નથવાણી એ જાણવા માગતા હતા કે એશિયાટિક સિંહોના રક્ષણ માટે ગીર જંગલમાં એલિવેટેડ રેલ કોરિડોર બનાવવાની સરકારની કોઈ યોજના છે કે કેમ; અને જો હોય તો, તેના શક્યતાદર્શી અભ્યાસ, ફન્ડિંગ અને અપેક્ષિત પૂર્ણાહૂતિની સમયરેખાની વિગતો સહિત આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શું છે. આ ઉપરાંત તેમણે રેલ કોરિડોર નજીક ગીરના સિંહોની સલામતી માટે અન્ય સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *