એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિની ગુજરાત મુલાકાતના ત્રીજો અને અંતિમ દિવસે રાષ્ટ્રીય અને રાજ્ય મુદ્દાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત કરી શકે છે એવા અભિપ્રાયો સાથે સંવેદનશીલ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા

ગાંધીનગર
એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ના અધ્યક્ષ અને પાલીના સાંસદ પી.પી. ચૌધરીએ કહ્યું છે કે દેશના મતદારો એટલા જાગૃત અને બુદ્ધિશાળી છે કે તેઓ લોકસભા અને વિધાનસભા ચૂંટણીના મુદ્દાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત કરી શકે છે. જો ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો પણ મતદારો સ્પષ્ટપણે જાણશે કે કયા મુદ્દા પર કયા પક્ષને મત આપવો.
ગુજરાતની તેમની ત્રણ દિવસીય મુલાકાતના છેલ્લા દિવસે ગુરુવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મીડિયા સાથે વાત કરતા ચૌધરીએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોના મતદારો પણ રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક મુદ્દાઓને સમજે છે અને તે મુજબ મતદાન કરે છે. આજના મતદારો પહેલા કરતાં વધુ જાગૃત છે. તેમની વિચારસરણી અને સમજણને ઓછી ન આંકવી જોઈએ. મતદારો જાણે છે કે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં કયા મુદ્દા પર કયા પક્ષને સમર્થન આપવું.
દિલ્હીનું ઉદાહરણ આપતા ચૌધરીએ કહ્યું કે ત્યાંના મતદારોએ લોકસભાની તમામ સાત બેઠકો પર ભાજપને વિજય અપાવ્યો હતો, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં પણ આ જોવા મળે છે, જ્યાં એક પક્ષ વિધાનસભામાં સરકાર બનાવે છે અને બીજો પક્ષ લોકસભામાં વધુ બેઠકો જીતે છે. મતદારોમાં મૂંઝવણનો ભય સંપૂર્ણપણે પાયાવિહોણો છે. તેમણે કહ્યું કે “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી દ્રષ્ટિકોણનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે.
2029માં ચૂંટણી સુધારાથી ગુજરાતમાં 2027 બાદ 2034માં ચૂંટણી
કમિટીના અધ્યક્ષના જણાવ્યા અનુસાર 2029માં ચૂંટણી સુધારા થાય તો ગુજરાતમં વિધાનસભાની ચૂંટણી 2027 બાદ વિધાનસભાની મુદતને બે વર્ષ માટે લંબાવીને 2034 કરીને ચૂંટણી યોજાશે.
1967 સુધી ચાર ચૂંટણી એક સાથે યોજાઈ હતી
કમિટીના અધ્યક્ષના જણાવ્યા અનુસાર કોંગ્રેસના શાશનમાં 7 વિધાનસભા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ થઈ હતી. જોકે એ પછી વન નેશન વન ઈલેક્શન માટે કોઈ ખાસ કામ થયું નહતું. આઝાદી બાદ 1967 સુધીમાં ચાર ચૂંટણીઓ એક સાથે થઈ હતી. સમગ્રતઃ દેશના દરેક રાજ્ય એક સાથે ચૂંટણી યોજાય એમ ઈચ્છે છે, એવો તેમણે દાવો કર્યો હતો.
પ્રવાસીઓ માટે ઈ-વોટિંગ ઉપલબ્ધ હોવું જોઈએ: CII
બેઠક દરમિયાન, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII), એસોચેમ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), અને લઘુ ઉદ્યોગ ભારતી સહિત અનેક ઉદ્યોગ સંગઠનોએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીને ટેકો આપ્યો હતો.
CIIના પ્રતિનિધિએ સૂચન કર્યું કે સ્થળાંતરિત કામદારો માટે ઈ-વોટિંગની સુવિધા આપવી જોઈએ, કારણ કે ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં કામદારો મતદાન કરવા માટે તેમના વતન રાજ્યોમાં પાછા ફરે છે, જેનાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં ખલેલ પહોંચે છે. ચૌધરીએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કામદારોનું સ્થળાંતર ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિ પર નોંધપાત્ર અસર કરે છે. પરિણામે નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવું અશક્ય છે.
વારંવાર થતી ચૂંટણીઓ શૈક્ષણિક સત્રોને અસર કરે છે: ગુપ્તા
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ પણ સમિતિ સમક્ષ એક સાથે ચૂંટણીઓ યોજવાનું સમર્થન કર્યું. તેમણે જણાવ્યું હતું કે વારંવાર થતી ચૂંટણીઓ શૈક્ષણિક સત્રને અસર કરે છે કારણ કે શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત હોય છે. તેમણે સમજાવ્યું કે ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને કારણે યુનિવર્સિટીની અંતિમ પરીક્ષાઓ મે સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી, જેના કારણે ઉનાળાના વેકેશનમાં વિક્ષેપ પડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે શૈક્ષણિક સત્રમાં વિલંબ થવાથી સરકાર પર વધારાનો નાણાકીય બોજ પડે છે, કારણ કે ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે લાંબા ગાળાની શિષ્યવૃત્તિ જરૂરી છે. ચૌધરીએ જણાવ્યું હતું કે પંજાબ અને હરિયાણાની તેમની મુલાકાત દરમિયાન, શૈક્ષણિક સંસ્થાઓએ સમાન ચિંતાઓ વ્યક્ત કરી હતી અને એક સાથે ચૂંટણીઓ યોજવાનું સમર્થન કર્યું હતું.
₹7 લાખ કરોડનું સીધું નુકસાન
તેમણે દાવો કર્યો હતો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગથી યોજવાથી દેશના અર્થતંત્રને લગભગ ₹7 લાખ કરોડનું નુકસાન થશે. વધુમાં, શાસન, વહીવટ અને આર્થિક પ્રવૃત્તિઓને પરોક્ષ નુકસાન અલગ છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના પ્રસ્તાવ પર વિવિધ પક્ષોના મંતવ્યો મેળવવા માટે JPCએ ગુજરાતની મુલાકાત લીધી હતી.
