પૂણે-પિંપરી-ચિંચવાડમાં હલકી ગુણવત્તાવાળો દારૂ પિવાથી 15થી વધુનાં મોત

Spread the love

ઘટના સામે આવ્યા બાદ વહિવટી તંત્ર એક્શન મોડમાં, મુખ્યમંત્રી ફડનવીસે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો

મુંબઈ

મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલે અધિકારીઓને કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે. 

એક પરિવારના બે સગા ભાઈનાં મોત

આ ભયાનક લઠ્ઠાકાંડમાં પુણેના ફુગેવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહીં ઝેરી દારૂ પીવાના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓનું મોત થઈ ગયું છે. બંને ભાઈઓના ટૂંકા ગાળામાં જ ટપોટપ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એક શંકાસ્પદ કસ્ટડીમાં

ઝેરી દારૂના કારણે ટપોટપ મોતના કિસ્સા પ્રકાશમાં આવતા જ પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક મુખ્ય શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોણે બનાવ્યો અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો, તે આખા ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે અલગ-અલગ જગ્યાએ તપાસ તેજ કરી દીધી છે. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ અજાણી કે ગેરકાયદે જગ્યાએથી મળતા આવા નશીલા પદાર્થોનું સેવન ન કરે.

મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડમાં ગેરકાયદેસર ઝેરી દારૂના કારણે 13 લોકોના સત્તાવાર મોત (જ્યારે 18 શંકાસ્પદ મોત) થતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને શહેરોના પોલીસ કમિશનરોને આ મામલે સહેજ પણ નરમાશ રાખ્યા વિના કડક ઓપરેશન ચલાવવાના આદેશ આપ્યા છે. ફડણવીસે પત્રકારોને જણાવ્યું કે, આ ઘટનાને સામાન્ય અકસ્માત કે બેદરકારી નહીં પરંતુ હત્યા ગણીને આરોપીઓ સામે કડક કાનૂની કલમો લગાવવામાં આવશે.

પોલીસનાં દરોડા

પોલીસે એ ચોક્કસ સ્થળ શોધી કાઢ્યું છે જ્યાં દેશી દારૂમાં ઝેરી મિથનોલ કેમિકલ ભેળવવામાં આવતું હતું. ફોરેન્સિક તપાસ મુજબ આશરે 215 લીટર અત્યંત ઝેરી ઔદ્યોગિક મિથનોલ મિશ્રિત કરાયું હોવાની શંકા છે. આ રેકેટમાં અત્યાર સુધીમાં 8 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો કુખ્યાત બૂટલેગર યોગેશ વાનખેડે આ ઘાતક જથ્થો સપ્લાય કરવાનો મુખ્ય શંકાસ્પદ છે. 

પોલીસ કમિશ્નર ઘટના સ્થળની મુલાકાત લીધી

સીએમના આદેશ બાદ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે હડપ્સર જેવા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી છે. પોલીસ, સ્ટેટ એક્સાઇઝ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો સંયુક્ત રીતે મોટા પાયે દરોડા પાડી રહી છે. વધુ જાનહાનિ રોકવા માટે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા લોકોને ટોચની તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *