બેંગલુરુ નજીક ખાણમાં ભેખડ ધરાશાયી થતાં 7 મજૂરનાં મોત, 6 ઘાયલ

Spread the love

રામનગર જિલ્લાના દુર્ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ; બેદરકારીના આરોપો વચ્ચે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ

બેંગલુરુ

કર્ણાટકના બેંગલુરુ નજીક આવેલા રામનગર જિલ્લામાં ગુરુવારે એક પથ્થરની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મડાપટ્ટણા ગામ સ્થિત એક ખાણમાં અચાનક વિશાળ ભેખળ તૂટી પડતાં સાત મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય છ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

કામ દરમિયાન જીવલેણ અકસ્માત સર્જાયો

પોલીસના જણાવ્યા અનુસાર દક્ષિણ બેંગલુરુ નજીક આવેલી ઉદયશંકર ક્રશરના પરિસરમાં લગભગ 20 મજૂરો કામ કરી રહ્યા હતા. વહેલી સવારે અચાનક વિશાળ ભેખળ તૂટી પડી હતી. ભારે પથ્થરો નીચે દટાઈ જતાં સાત મજૂરોને બચાવવાની કોઈ તક મળી નહોતી, જ્યારે અન્ય કેટલાક મજૂરો ઘાયલ થયા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવી ભયાનક ઘટના

ખાણમાં અર્થ-મૂવિંગ મશીન ચલાવતા પ્રત્યક્ષદર્શી વિનોદ કુમારે જણાવ્યું કે ભેખળ એટલી ઝડપથી તૂટી પડી કે મજૂરોને બચવા માટે કોઈ સમય જ મળ્યો નહીં. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને અન્ય મજૂરોએ તરત જ રાહત કામગીરી શરૂ કરી હતી.

દૈનિક મજૂરી માટે આવેલા પરિવારો પર આભ તૂટી પડ્યું

મૃતક મજૂરોના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતક રામા નાયકની માતાએ જણાવ્યું કે તેમને સવારે ફોન દ્વારા પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા હતા. રામા નાયકને રોજની 800 રૂપિયાની મજૂરી મળતી હતી અને સમગ્ર પરિવારનો આધાર તેમના પર જ હતો. પરિવારજનોએ સરકાર પાસે યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી છે.

સુરક્ષામાં બેદરકારીના આક્ષેપ

હાદસામાંથી બચી ગયેલા તમિલનાડુના મજૂર ગોપીએ આરોપ લગાવ્યો કે ખાણમાં કામ કરતા મજૂરોને અસુરક્ષિત ભેખળો અંગે કોઈ પૂર્વચેતવણી આપવામાં આવી નહોતી. તેમણે સુરક્ષા ધોરણોની અવગણના થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

સ્થાનિક ધારાસભ્ય એસ.ટી. સોમશેખરે ખાણના માલિક, મેનેજર તેમજ દેખરેખ માટે જવાબદાર સરકારી અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે આવી દુર્ઘટનાઓ માટે માત્ર ખાનગી સંચાલકો જ નહીં પરંતુ જવાબદાર સરકારી તંત્રની પણ જવાબદારી નક્કી થવી જોઈએ.

સરકારે ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો

કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વરે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર ગેરકાયદે ખનન અને સુરક્ષા નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરશે. તેમણે ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલમાં બચાવ અને તપાસ કામગીરી યથાવત્ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *