અનેક વખત પદ છોડવાનું વિચારું છું, સીએમ પદ મને છોડતું નથીઃ ગેહલોત

Spread the love

રાજસ્થાનના મુખ્યપ્રધાનના મજાકમાં કરાયેલા નિવેદનથી તેમનું નિસાન કોના તરફ હતું એ રાજકારણમાં હસ્તક્ષેપ કરનારા સમજી ગયા

જયપુર
રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેમણે મુખ્યમંત્રી પદને લઈને એવી વાત કહી કે જેનાથી બધા ચોંકી ગયા. અશોક ગેહલોતે કહ્યું કે તેઓ ઘણી વખત વિચારે છે કે મુખ્યમંત્રી પદ છોડી દે, પરંતુ આ પદ તેમને છોડતું નથી. જોકે, સીએમ ગેહલોતે મજાકમાં આ વાત કહી હતી, પરંતુ રાજસ્થાનના રાજકારણમાં હસ્તક્ષેપ કરનારાઓ સમજી ગયા કે તેમનું નિશાન કોની તરફ હતું.
સીએમ ગેહલોતે આગામી વિધાનસભાની ચૂંટણી તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે ‘હવે જોઈએ આગળ શું થાય છે’. ગેહલોત રાજ્યની વિવિધ તબીબી સંસ્થાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા અંગ દાનના લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલાએ તેમની સફળ સારવાર માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તે ઈચ્છે છે કે ગેહલોત મુખ્યમંત્રી તરીકે જળવાઈ રહે.
ગેહલોતે હસતાં હસતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી પદ વિશે હું ઘણી વખત વિચારું છું કે છોડી દઉં… પરંતુ આ પદ જ મને છોડતું નથી. ઓનલાઈન આ કાર્યક્રમ સાથે જોડાયેલા લોકોના હાસ્ય અને તાળીઓના ગડગડાટ વચ્ચે મુખ્યમંત્રી આવાસના સ્ટેજ પર લાભાર્થી મહિલાએ ફરીથી કહ્યું, “હું ઈચ્છું છું કે તમે ફરી મુખ્યમંત્રી બનો.” તેના પર ગેહલોતે કહ્યું, “તમે સતત આવું કહો છો… પરંતુ હું પોતે કહી રહ્યો છું કે મુખ્યમંત્રી પદ મને છોડતું નથી. હવે જોઈએ આગળ શું થાય છે.” ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *