અમેરિકી ધારાસભ્યોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો

ન્યુયોર્ક
અમેરિકાના ન્યુયોર્કમાં એક શીખ પોલીસકર્મીને દાઢી રાખવાથી અટકાવ્યા બાદ વિવાદ શરુ થયો છે. જેના પર વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકી ધારાસભ્યોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો છે. મામલો એવી રીતે છે કે, ન્યૂયોર્ક પોલીસ વિભાગના એક અધિકારી ચરણજોત તિવાનાએ ગયા વર્ષે માર્ચમાં પોતાના લગ્ન માટે દાઢી વધારવાની માંગ કરી હતી. જો કે, વિભાગે તેની માંગને ફગાવી દીધી હતી કે ગેસ માસ્ક પહેરીને દાઢી ઉગાડવાથી તેની સલામતી પર ખતરો ઉભો થઇ શકે છે.આના પર ભારતીય દૂતાવાસના અધિકારીઓએ ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર સમક્ષ મામલો ઉઠાવ્યો હતો. તે જ સમયે, ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ આ મામલો બાયડન સરકારના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સામે ઉઠાવ્યો છે. જેમ જેમ આ મામલો આગળ વધતો ગયો તે પછી ન્યુ યોર્ક સ્ટેટ પોલીસ અને ગવર્નર ઑફિસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેઓ આ બાબતે કામ કરી રહ્યા છે. તે જ સમયે, ન્યૂયોર્ક એસેમ્બલીના સભ્ય ડેવિડ વેપ્રિને પોલીસ વિભાગ દ્વારા ચરણજીત તિવાનાની માંગ ન સ્વીકારવા પર ચિંતા વ્યક્ત કરી અને તેને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો.
સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં અમેરિકન નેતાએ લખ્યું છે કે, ધાર્મિક ભેદભાવ દૂર કરવા માટે વર્ષ 2019માં કાયદો બનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિને કામ દરમિયાન તેની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. આ નેતાએ પોલીસ વિભાગના અધિકારીઓને તિવાના કેસમાં કાયદા મુજબ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ નેતાએ કહ્યું કે આ કેસ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
ન્યૂયોર્ક પોલીસે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે, તે દાઢી અને ગણવેશ અંગેના તેના નિયમોમાં સુધારો કરી રહી છે. શીખોની સૌથી મોટી ધાર્મિક સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના વડા હરજિન્દર સિંહ ધામીએ અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ અને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને ન્યૂયોર્ક પોલીસ વિભાગના મામલામાં વાંધો ઉઠાવવાની માંગ કરી છે.
