બંને સમુદાયના ધારાસભ્યોએ આસામ રાઈફલ્સને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો

ઈમ્ફાલ
મણિપુરમાં 3 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી જાતીય હિંસા વચ્ચે દેશના સૌથી જૂના અર્ધલશ્કરી દળ આસામ રાઈફલ્સને લઈને વિવાદ શરૂ થયો છે. વિરોધ એ વાતનો છે કે રાજ્યના બે મુખ્ય સમુદાયો મૈતેઈ અને કુકી સામ-સામે છે. બંને સમુદાયના ધારાસભ્યોએ આસામ રાઈફલ્સને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મૈતેઈ અને કૂકી ધારાસભ્યોએ આ મામલે અલગ અલગ પત્રો લખ્યા હતા અને બંનેએ માગણીઓ પર જુદી જુદી કરી છે. એક સમુદાય કહે છે કે આસામ રાઈફલ્સને રાજ્યમાંથી હટાવી લેવામાં આવે તો બીજો સમુદાય કહે છે કે તેને તહેનાત રાખવામાં આવે.
જાતીય હિંસાથી પીડિત મણિપુરમાં સૈન્ય અને અન્ય કેન્દ્રીય દળોની સાથે આસામ રાઈફલ્સને તૈનાત કરવામાં આવી છે. આદિવાસી સમુદાયની રેલીને પગલે 3 મેના રોજ રાજ્યમાં જાતીય હિંસા ફાટી નીકળી હતી. રાજ્યમાં બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આવતા હાઈકોર્ટના આદેશ બાદ રેલી કાઢવામાં આવી હતી.
વડાપ્રધાનને લખેલા પત્રમાં 40 ધારાસભ્યો (મોટાભાગે મૈતેઈ સમુદાયના) એ રાજ્યમાંથી જાતીય હિંસા દરમિયાન તૈનાત આસામ રાઇફલ્સને દૂર કરવાની માંગ કરી હતી. 40 ધારાસભ્યોના પત્રમાં રાજ્યમાં સુરક્ષા અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે આસામ રાઈફલ્સને વર્તમાન પોસ્ટિંગથી પાછા બોલાવી લેવા અને તેની જગ્યાએ રાજ્યના સુરક્ષા દળોની સાથે વિશ્વસનીય કેન્દ્રીય દળોને તહેનાત કરવાની માગ કરાઈ હતી.
હવે 10 કુકી ધારાસભ્યોએ પણ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કેન્દ્ર સરકારને આસામ રાઈફલ્સને ન હટાવવાની અપીલ કરી છે. કુકી ધારાસભ્યોએ કહ્યું છે કે જો આમ થશે તો રાજ્યમાં આદિવાસી સમુદાયની સુરક્ષા જોખમાઈ જશે.
