ચંદ્રયાન-3 મિશન આપણા માટે મોટી સફળતા છે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોના વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા જોઈએ

મુંબઈ
રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી – એનસીપીના પ્રમુખ શરદ પવારે આજે ફરી પોતાની પાર્ટી તૂટવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, કેટલાક ધારાસભ્યો પાર્ટીમાં જતા રહ્યા છે, પરંતુ એકલા ધારાસભ્યોના જવાનો મતલબ એ નથી કે, આખી રાજકીય પાર્ટી તુટી ગઈ હોય… પવારે વધુમાં કહ્યું કે, હું એનસીપીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને જયંત પાટીલ મહારાષ્ટ્રમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ છે. જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું કે, શું તમે પક્ષ સાથે બળવો કરનારા નેતાઓ પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છો ? જેના જવાબમાં તેમણે કહ્યું કે, બળવાખોરોના નામો બોલી તેમને મહત્વ કેમ આપવામાં આવે.
અગાઉ શરદ પવારની પુત્રી અને પક્ષની કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, એનસીપીમાં ભંગાણ પડ્યું નથી અને પક્ષના નેતા અજિત પવાર જ યથાવત્ રહેશે… આ બાબતે શરદ પવારે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, હા… આમાં કોઈપણ વિવાદ નથી… પરંતુ કેટલાક કલાકો બાદ પવારે યુટર્ન લીધો અને કહ્યું, તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી.
ઉલ્લેખનિય છે કે, 2 જુલાઈના રોજ અજિત પવાર અને 8 અન્ય એનસીપી ધારાસભ્યોએ પક્ષમાં બળવો કર્યો હતો અને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના-ભાજપ સરકારમાં સામેલ થઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં આ ધમાસાણ બાદ રાજકારણ પણ ગરમાયું હતું. અજિત પવારે બળવો કર્યા બાદ પક્ષ પર પોતાનો દાવો કરી ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.
શરદ પવારે ચંદ્રયાન-3 મિશન બાબતે વાત કરતા કહ્યું કે, આ મિશન આપણા માટે મોટી સફળતા છે… ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોના વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા જોઈએ. વડાપ્રધાન મોદી વૈજ્ઞાનિકોને મળવા પ્રોટોકોલ તોડી ઈસરો કંટ્રોલ સેન્ટર ગયા, જોકે ઠીક છે… તેમણે મોદીની ટીકા કરતા કહ્યું કે, તેઓ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ઈચ્છતા નથી, માત્ર લોકસભા ચૂંટણીનું જ વિચારે છે. તેઓ ‘જનમત’ (લોકોના પ્રતિભાવ) જાણવા માંગતા નથી.
અજિત પવાર જૂથમાં સામેલ થનાર એનસીપી નેતા હસન મુશ્રીફ અંગે પવારે કહ્યું કે, તેઓ ઈડીના દરોડાનો સામનો કરી રહ્યા હતા, જોકે હવે કાર્યવાહી બંધ થઈ ગઈ છે… આ માટે તેમણે કોની સાથે વાતચીત શરૂ કરી તે ખબર નથી. તેમણે કહ્યું કે, હસન મુશ્રીફ સત્તાધારી પાર્ટીની પ્રશંસા કરી બચવામાં સફળ રહ્યા.
