ઓસ્ટ્રેલિયામાં બે બાળકોની કસ્ટડી ગુમાવનારી ભારતીય માતાએ જીવ આપ્યો

Spread the love

ડોક્ટર સામે ફરિયાદ કરનારી ભારતીય મહિલા સામે ઓસ્ટ્રેલિયાની સરકારે જ સખ્ત પગલાં લેતા તેના પર બાળકોની યોગ્ય સંભાળ ના રાખવાનો આરોપ મૂક્યો


બેંગલોર
એક ચોંકાવનારી ઘટનામાં ઓસ્ટ્રેલિયામાં સેટલ થયેલા એક ભારતીય દંપતીને પોતાના બંને બાળકોની કસ્ટડી ગુમાવવાનો વારો આવતા વ્યથિત માતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રિયદર્શિની પાટીલ નામની આ મહિલા મૂળ કર્ણાટકના ધારવાડની વતની હતી, જે પોતાના પતિ સાથે વર્ષો પહેલા સિડની સેટલ થઈ હતી. પ્રિયદર્શિની તેમજ તેનો પતિ બંને આઈટી એન્જિનિયર હતાં, અને પ્રિયદર્શિનીએ ઓસ્ટ્રેલિયામાં જ એક દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં જ જન્મેલા હોવાથી પ્રિયદર્શિનીના બંને બાળકો ત્યાંના સિટીઝન હતા. રિપોર્ટ અનુસાર, આ કપલના ૧૭ વર્ષના દીકરાને કોઈ બીમારી થઈ હતી જેની ટ્રીટમેન્ટ ઓસ્ટ્રેલિયામાં જ ચાલી રહી હતી. જોકે, ટ્રીટમેન્ટથી દીકરાની તબિયતમાં કોઈ સુધારો થવાના બદલે તેની તબિયત વધુ ખરાબ થતાં પ્રિયદર્શિનીએ ડોક્ટર સામે કેસ કર્યો હતો. પરંતુ ડોક્ટર સામે ફરિયાદ કરનારી ભારતીય મહિલા સામે ઓસ્ટ્રેલિયાની સરકારે જ સખ્ત પગલાં લેતા તેના પર બાળકોની યોગ્ય સંભાળ ના રાખવાનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં, કાયદાનો હવાલો આપીને સરકાર દ્વારા પ્રિયદર્શિની પાસેથી તેના બંને બાળકોની કસ્ટડી પણ છીનવી લેવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયાની સરકારે બંને બાળકોને પોતાનાથી અલગ કરતી દેતાં પ્રિયદર્શિની ખૂબ જ વ્યથિત થઈ ગઈ હતી, અને તેણે બાળકોને ઈન્ડિયા પરત લાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે, નિયમો અનુસાર જે બાળકોની કસ્ટડી સરકાર પાસે હોય તેમને ઓસ્ટ્રેલિયાની બહાર મોકલવમાં નથી આવતા. પોતાના કોઈ પ્રયાસ સફળ ના થતાં આખરે પ્રિયદર્શિની ૧૮ ઓગસ્ટના રોજ ઈન્ડિયા રિટર્ન થઈ હતી, તેણે બેંગલોરથી ધારવાડ જવા માટે બસની ટિકિટ બુક કરાવી હતી પરંતુ તે આ બસમાં બેઠી જ નહોતી. ઓસ્ટ્રેલિયાથી બેંગલોર લેન્ડ થયેલી પ્રિયદર્શિનીએ ધારવાડ પહોંચવાના બદલે હુબલીની બસ લીધી હતી અને ત્યાં જઈને તે એક કુરિયરવાળાને ત્યાં ગઈ હતી. ત્યાં તેણે પોતાની પાસે જે કંઈ કેશ તેમજ જ્વલેરી હતી તે પોતાના માતા-પિતાના એડ્રેસ પર મોકલાવી દીધી હતી અને સાથે જ એક લેટર પણ લખ્યો હતો. આ જ કુરિયરવાળાને પ્રિયદર્શિનીએ પોતે બેલગાવી જઈ રહી છે તેવું જણાવ્યું હતું, અને પોતાની વસ્તુઓ સહી-સલામત પહોંચાડી દેવા માટે પણ કહ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રિયદર્શિનીએ જે લેટર લખ્યો હતો તેમાં તેણે બાળકોની કસ્ટડી છિનવાઈ જતાં પોતે માનસિક રીતે તૂટી ગઈ હોવાની વ્યથા ઠાલવી હતી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાથી એકલી જ ૧૮ ઓગસ્ટે ઈન્ડિયા આવવા નીકળેલી પ્રિયદર્શિની ઘરે ના પહોંચતા તેના માતા-પિતાએ પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ કરી હતી.
ઓસ્ટ્રેલિયાથી ઈન્ડિયા પહોંચેલી આ મહિલા શંકાસ્પદ સંજોગોમાં ગુમ થતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તે હુબલીથી મુનાવ્લી નામના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી જ નદીમાંથી તેની બોડી પોલીસને મળી આવી હતી. પ્રિયદર્શિની પોતાના બંને બાળકોના પાસપોર્ટ પણ સાથે લાવી હતી, જેથી તે બંને ઈન્ડિયા આવી શકે તેમ નહોતા. આ ઘટનાની જાણ થતાં મહિલાનો પતિ ઓસ્ટ્રેલિયાથી ઈન્ડિયા આવ્યો ત્યારબાદ પ્રિયદર્શિનીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રિયદર્શિનીના સંબંધીઓનું માનીએ તો તેને અને તેના પતિને ઈન્ડિયામાં સારી જોબની ઓફર હતી અને તેઓ ઓસ્ટ્રેલિયા છોડી પોતાના દેશ પાછા આવવાની તૈયારીમાં હતા, પરંતુ તે પહેલા જ તેમના બંને બાળકોની કસ્ટડી તેમનાથી છિનવાઈ ગઈ હતી અને તેના કારણે ભાંગી પડેલી પ્રિયદર્શિનીએ અંતિમ પગલું ભરી લેતા હાલ તો આખોય પરિવાર વિખેરાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *