ઈન્કમટેક્સ વિભાગે માફિયા અતીક અહેમદની 6 બેનામી મિલકતો જપ્ત કરી

Spread the love

જપ્ત કરાયેલી પ્રોપર્ટીનો માર્કેટ રેટ આશરે રૂ. 6.35 કરોડ રૂપિયા છે


નવી દિલ્હી
ઈન્કમટેક્સ વિભાગે માફિયા અતીક અહેમદની 6 બેનામી મિલકતો જપ્ત કરી છે. જપ્ત કરાયેલી પ્રોપર્ટીનો માર્કેટ રેટ આશરે રૂ. 6.35 કરોડ રૂપિયા છે. માફિયા અતીકે આ મિલકતો તેના નજીકના મિત્ર મોહમ્મદ અશરફ ઉર્ફે લલ્લાના નોકર સૂરજપાલના નામે ખરીદી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નોકર સૂરજ પાલ બીપીએલ કાર્ડ ધારક છે ત્યારે તેના પર શંકા ગઈ. ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી તો ગેરકાયદેસર મિલકતોનો ખુલાસો થયો હતો.
ઈન્કમટેક્સ વિભાગે 2019થી જ અતીક અહેમદની બેનામી સંપત્તિની તપાસ ચાલુ કરી દીધી હતી. અત્યાર સુધીમાં 1800 કરોડથી વધુની સંપત્તિઓ જપ્ત થઈ ચૂકી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અતીકે 10 વર્ષમાં સંગમ નગરીની નજીક સૂરજ પાલના નામ પર 100 વીઘા જમીન ખરીદી હતી. આ સંપત્તિઓનો માર્કેટ રેટ લગભગ 80 કરોડ રૂપિયા છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે, અતીક અને અશરફની હત્યા બાદ સૂરજપાલે પ્રયાગરાજ સદર તહસીલના કથુલા ગૌસપુર ગામમાં 4 જમીનો 60 લાખ રૂપિયામાં વેચી દીધી હતી.
ઈન્કમટેક્સ વિભાગને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સૂરજપાલ આ મિલકતો વેચીને અતીકના પરિવારની જરૂરિયાતો પૂરી કરી રહ્યો હતો. આવકવેરા વિભાગે અતીક અહેમદ, તેના પરિવાર અને ગેંગના સભ્યો સાથે સુરક્ષા ગાર્ડના સંબંધો વિશે માહિતી મેળવી. આ માટે યુપી પોલીસ, આઈજી સ્ટેમ્પ અને ઈન્કમ ટેક્સ ડેટાબેઝના રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ઈન્કમ ટેક્સ વિભાગે સૂરજપાલના ઈન્કમ ટેક્સ રિટર્નનું વિશ્લેષણ કર્યું ત્યારે મોટો ખુલાસો થયો હતો. દસ્તાવેજોમાં બીપીએલ કાર્ડ ધારક સૂરજપાલની આવક અને સંપત્તિ 2018-19માં લગભગ 40 લાખ રૂપિયા હતી જે 2022-23માં આ સંપત્તિ વધીને 6.16 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. સૂરજપાલ આ સંપત્તિઓનો ઝડપથી નિકાલ અને વેચાણ કરી રહ્યો હતો. આવકવેરા વિભાગ દ્વારા સૂરજપાલ પર સકંજો કસવાથી અતીકની બેનામી સંપત્તિનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ઈન્કમટેક્સ વિભાગ લખનૌની ટીમે 2019થી જ અતીકની બેનામી સંપત્તિઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધુ છે. આ દરમિયાન અત્યાર સુધીમાં અતીક અહેમદની અનેક સંપત્તિઓ પર બુલડોઝર ફરી વળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *