પક્ષની સ્થાપના લોકોની ગંભીર ચિંતાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હોવાનો પૂર્વ ધારાસભ્યનો દાવો

જમ્મુ
જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય પ્રવાહની રાજનીતિમાં વધુ એક પક્ષ અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે, કાશ્મીરના ગાંદરબલ મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય ઈશફાક જબ્બારે જમ્મુ કાશ્મીર યુનાઈટેડ મૂવમેન્ટ પક્ષની રચના ગઈકાલે કરી હતી. આ પક્ષની રચના સમયે તેના સમર્થકો હાજર રહ્યા હતા.
જબ્બારે કહ્યું કે પક્ષની સ્થાપના લોકોની ગંભીર ચિંતાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. તેમના પિતા શેખ અબ્દુલ જબ્બાર સ્થાનિક લોકોના ઉત્થાન અને સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. હવે તે પાર્ટી દ્વારા સામાજિક ન્યાય, શિક્ષણ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઈશફાક જબ્બારે જણાવ્યું હતું કે પ્રદેશના સમૃદ્ધ અને સમાન ભાવિ માટે કામ કરવાનો ઉદ્દેશ્ય છે.
ઉલ્લેખનીય છે કે જબ્બારને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે એનસી પક્ષ દ્વારા એપ્રિલમાં છ વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ઈશ્ફાકે કાશ્મીરમાં આતંકવાદના યુગ પર પ્રદેશના કેટલાક નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. 1987એ જમ્મુ અને કાશ્મીરનો ટર્નિંગ પોઈન્ટ હતો. ચૂંટણીના થયેલા ફ્રોડના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકનો કાળ શરૂ થયો. અમારો પક્ષ ટૂંક સમયમાં કાશ્મીરમાં આંદોલન બની જશે. આગામી તમામ ચૂંટણીઓમાં પાર્ટી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારીને નવા કાશ્મીર બનાવવાના મિશનને સફળ બનાવવા માટે કામ કરશે. રાજ્યની રાજનીતિમાં લોકો માટે પક્ષ વધુ સારો વિકલ્પ બની રહેશે.
અમે યુવાનો માટે સેતુ બનીને લોકશાહીને આગળ લઈ જવા માંગીએ છીએ. એનસીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા પર નિશાન સાધતા જબ્બારએ કહ્યું કે હવે તે શેર-એ-કાશ્મીરના મિશનને આગળ વધારવા વિશે પોકળ વાતો કરી રહ્યા છે. તેઓ ભાજપના ખોળામાં બેસીને વર્ષ 1998માં જ કેન્દ્રમાં મંત્રી બન્યા હતા. શેર-એ-કાશ્મીરનું મિશન ભાજપ સાથે હાથ મિલાવવાનું ન હતું. મારા પિતા જેવા લોકોએ તેમના મિશનને સફળ બનાવવા કામ કર્યું. તેણે ઘણા સમય પહેલા આ મિશન છોડી દીધું છે. તમે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી હતી, અમે સામાન્ય કાશ્મીરી છીએ. પૂર્વ મંત્રી શેખ જબ્બારના પુત્ર ઈશ્ફાકે 2014માં નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. 2019માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ તેણે નેશનલ કોન્ફરન્સથી દૂરી લીધી હતી. આવી સ્થિતિમાં નેશનલ કોન્ફરન્સના નેતાઓ તેમનાથી નારાજ હતા.
