ઉત્તરાખંડમાં વરસાદે 93નાં ભોગ લીધા, 1914 ઘરો ધરાશાયી

Spread the love

16ની તો હજુ ભાળ જ મળી નથી, 51થી વધુ લોકો ઘવાયા


નવી દિલ્હી
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ વખતે ચોમાસું કાળ બનીને આવ્યો હતો. અહીં જાન-માલનું મોટાપાયે નુકસાન થયું. ઉત્તરાખંડમાં આ વર્ષે આપત્તિ 15 જૂનથી અત્યાર સુધીમાં 100થી વધુ પરિવારો ક્યારેય ન પૂરાઈ શકે તેવા ઘા આપી ગઈ. આ પરિવારોએ 93 જેટલા સ્વજનોને ગુમાવી દીધા. જોકે 16ની તો હજુ ભાળ જ મળી નથી. આટલું જ નહીં 51થી વધુ લોકો ઘવાયાનો આંકડો પણ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 80 દિવસ સમગ્ર રાજ્ય પર ભારે વીત્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના આંકડા પર ધ્યાન આપીએ તો આપત્તિમાં ન ફક્ત જાનહાનિ થઈ છે પણ 1914 ઘરો ધરાશાયી થઈ ગયા છે. તેમાં 56 નો તો નામોનિશાન જ મટી ગયો છે. જોકે 181 મકાનો રહેવા લાયક પણ રહ્યા નથી. બાકીના ઘરોને આંશિકરૂપે નુકસાન થયું છે.
અતિવૃષ્ટિ, ભૂસ્ખલન તથા પૂર જેવી સ્થિતિઓને લીધે તમામ જિલ્લામાં નુકસાન થયું. રુદ્રપ્રયાગ જિલ્લામાં સર્વાધિક જાનહાનિ થઈ. અહીં 21થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. જોકે 13ની કોઈ ભાળ મળી નથી. પશુધનની વાત કરીએ તો અત્યાર સુધી 7798 ઢોર ઢાંખરના મોત નીપજ્યા છે. આ ઉપરાંત માર્ગો, પીવાના પાણીની સુવિધા, વીજલાઈનો સહિત જાહેર સંપત્તિને પણ મોટાપાયે નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *