અદાણી, મોંઘવારી સહિત 9 મુદ્દાઓ પર સંસદમાં ચર્ચાની સોનિયાની માગ

Spread the love

સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 5 દિવસ સુધી યોજાવાનું છે

નવી દિલ્હી
કેન્દ્ર સરકારે અચાનક સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર દરમિયાન વિવિધ બિલો પાસ થવા અંગે પણ રાજકીય ચર્ચાઓ જામી છે. ત્યારે સત્ર પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે… તેમણે સંસદના વિશેષ સત્ર અંગે સરકારના એજન્ડા અંગે માહિતી માંગી છે… તેમણે અદાણી મુદ્દો, બેરોજગારી, વધતી મોંઘવારી સહિત 9 મુદ્દાઓ અંગે પણ સરકાર ચર્ચા કરે તેવી માંગ કરી છે. સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 5 દિવસ સુધી યોજાવાનું છે.
સંસદના વિશેષ સત્રને લઈ આજે સવારે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્ર અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે બેઠકમાં ઉપસ્થિત રહેલા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હોવાની જાહેરાત કરી હતી.
સોનિયા ગાંધીએ પીએમ મોદીને લખેલા પત્રમાં 9 મોટા મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે… પ્રથમ મુદ્દામાં વધતી મોંઘવારી, બેરોજગારી અને એમએસએમઈની સમસ્યા સહિત વર્તમાન આર્થિક સ્થિતિની વાત કરવામાં આવી છે. તો બીજા મુદ્દો ખેડૂતો સંબંધિત છે. સરકારે ખેડૂતો સંગઠનો સાથે ઘણીવાર ચર્ચા-વિચારણા કરી… આ દરમિયાન સરકારે ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું હતું… ત્યારે તે આશ્વાસનની વર્તમાન સ્થિતિ શું છે અને ન્યૂનતમ ટેકાના ભાવ ગેરંટી એક્ટ અંગે સરકારનું વલણ શું છે ? સોનિયા ગાંધીએ જાતિની વસ્તી ગણતરીની માંગ પણ ઉઠાવી છે. તેમણે કહ્યું કે, ફૂડ સિક્યોરિટી એક્ટના કારણે 14 કરોડ લોકો વંચિત રહી ગયા છે. કોંગ્રેસે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો અંગે પણ વિસ્તારથી ચર્ચા કરવા સરકારને માંગ કરી છે, તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું છે.
જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકાર વિપક્ષી સત્તાધારી રાજ્યોમાં અવરોધો ઉભા કરી રહી છે… ઘણા વિપક્ષી મુખ્યમંત્રીઓએ સરકારના વલણ પર આંગણી ચીંધી છે. જયરામ રમેશે કહ્યું કે, સોનિયા ગાંધીએ પત્રમાં સંઘીય માળખા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ગાંધીએ કુદરતી આફતો, સરહદોની વર્તમાન સ્થિતિ, દેશના વિવિધ ભાગોમાં સાંપ્રદાયિક તણાવ અને મણિપુરની સ્થિતિ પર પણ ચર્ચાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *