ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કેનેડામાં થયેલી હિંસામાં ભારત કોઈ પણ રીતે સામેલ નથી

નવી દિલ્હી
ભારત અને કેનેડાના સંબંધમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. કેનેડા દ્વારા ભારત પર નિજ્જર હત્યા કેસ મામલે ષડયંત્રના આરોપ લાગવામાં આવ્યા હતા. એવામાં હવે આ મામલે ભારતે પણ પલટ વાર કરતા કેનેડાને જવાબ આપ્યો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપોને ફગાવી દીધા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કેનેડામાં થયેલી હિંસામાં ભારત કોઈ પણ રીતે સામેલ નથી. પીએમ ટ્રુડોના આક્ષેપો આધારભૂત વિનાના છે.
વિદેશ મંત્રાલયે આજે જવાબ આપતા કહ્યું કે, કેનેડામાં હિંસામાં ભારત સરકારની સંડોવણીના આરોપો પાયા અને આધારભૂત વગરના છે. કેનેડાના વડાપ્રધાને ભારત સરકાર પર કરેલા આક્ષેપને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા. ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો છે.
પીએમ ટ્રુડોના જણાવ્યા અનુસાર, કેનેડાની સુરક્ષા એજન્સીઓ આ કેસ મામલે તપાસ કરી રહી છે. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીને કહેવામાં આવ્યું છે કે, જો ભારત સરકાર આ મામલામાં કોઈપણ રીતે સામેલ હશે તો તે સ્વીકાર્ય નહીં હોય અને તપાસમાં સહયોગની પણ માગ કરી હતી.
ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર, જેના પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે, તેની આ વર્ષે 18 જૂને કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી તેમાં હરદીપ નિજ્જરનું નામ પણ સામેલ હતું. ભારતીય એજન્સી એનઆઈએએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.
