અમરિંદર સિંહે ભારતમાં અનેક ગુનાઓમાં સામેલ આતંકવાદીઓને સોંપવા માટે કેનેડા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાનું આહ્વાન કર્યું હતું

નવી દિલ્હી
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેનેડાના પીએમ જસ્ટિન ટુડો દ્વારા ભારત પર લગાવેલા પાયાવિહોણા આરોપોની આકરી નિંદા કરી છે. તેમણે કેનેડા પર આતંકવાદ સાથે સંકળાયેલા લોકોને રાજકીય આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મે વર્ષ 2018માં એ-કેટેગરીના આતંકવાદીઓની યાદી આપી હતી જેની કેનેડાએ અવગણના કરી હતી.
અમરિંદર સિંહ કહ્યું હતું કે ફેબ્રુઆરી 2018માં અમૃતસરમાં ભારત સરકારના તરફથી પંજાબના મુખ્યમંત્રી તરીકે હું ટુડોને મળ્યો હતો, ત્યારે કાર્યવાહી માટે મે એ-કેટેગરીના નવ આતંકવાદીની યાદી આપી હતી પરંતુ કેનેડિયન સરકારે આ યાદીની સંપૂર્ણ અવગણના કરી હતી. જસ્ટિન ટુડોએ હાલમાં જ કેનેડામાં ખાલિસ્તાની વોંન્ટેડ આતંકવાદી હરદીપસિંહ નિજ્જરીની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત અમરિંદર સિંહે ભારતની ધરતી પર અનેક ગુનાઓમાં સામેલ આતંકવાદીઓને સોંપવા માટે કેનેડા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાનું આહ્વાન કર્યું હતું તેમજ ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહનનો આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાન કદાચ આંતરરાષ્ટ્રીય પરિણામોના ડરથી આ કામ ગુપ્ત રીતે કરી રહ્યુ છે જ્યારે કેનેડા ખુલ્લેઆમ કરી રહ્યું છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ટુડો તરફથી લગાવેલા આરોપ આશ્ચર્યની વાત નથી કારણકે તેઓ ઉગ્રવાદીઓ સાથે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કેનેડા પોતે જ ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રીએ કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અને હિંદૂ ધર્મ સ્થળો પર થયેલા હુમલાઓ તરફ ઈશારો કરતા સવાલ કર્યો હતો કે શું કેનેડિયન સરકારે હિંસાના આ મામલાઓ માટે જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં લીધા હતા.
ભાજપના નેતાએ કેનેડાની ધરતી પર ભારત વિરોધી ગતિવિધિઓ પર અંકુશ ન લગાવવા પર ટુડો પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ટુડોના આરોપો રાજકીય કારણોથી પ્રભાવિત હોઈ શકે છે, જેમાં તેમની લઘુમતી સરકારની ખાલિસ્તાન પ્રમોટર જગમીતસિંહના નેતૃત્વવાળી ન્યૂ ડોમોક્રેટિક પાર્ટીના સમર્થન પર નિર્ભરતા પણ સામેલ છે.
