કેરળમાં દિવસમાં 300 નવા કેસ, ત્રણનાં મોત, કોરોનાના વેરિયન્ટ જેએન.1ની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી
દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે અને સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે જ્યાં સૌથી વધારે ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 358 કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2,669 છે.
કોવિડનો નવો વેરિયન્ટ જેએન.1નો સૌથી પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો ત્યારબાદથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડ અનુસાર છેલ્લા 24 કલાકમાં કેરળમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 358 કેસોમાં 300 કેસ ફક્ત કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં વાયરસથી કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે જે બાદ મૃત્યુઆંકની સંખ્યા 5,33,332 થઈ ગઈ છે. કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પણ કોવિડના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સાજા થનાર દર્દીઓની સંખ્યા વધીને 4,44,70,576 થઈ ગઈ છે અને રિકવરી રેટ 98.81 ટકા છે.
દેશમાં કોરોના વાયરસે ફરી ટેન્શન વધાર્યું છે. કોરોનાના નવા વેરિયન્ટ જેએન.1 ના અત્યાર સુધી 21 દર્દી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે જેના લીધે કોરોના રિટર્નની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં ગુરુવારે 358 નવા દર્દી મળી આવ્યા હતા. અગાઉ બુધવારે 614 દર્દીઓ મળી આવતા ફરીવાર કોરોના ચર્ચાનો વિષય બની ગયો હતો.
માહિતી અનુસાર બુધવારે 614 દર્દી મળવાનો આંકડો 21 મે પછી સૌથી મોટો હતો. જેના પગલે ડબલ્યુએચઓ થી માંડીને કેન્દ્ર સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરી દીધું હતું. હોસ્પિટલોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. ભીડમાં માસ્ક પહેરવાની પણ અપીલ કરાઈ છે. કોરોનાના વેરિયન્ટ જેએન.1ની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ મળ્યા હતા. આ સાથે દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 2,669 ને આંબી ગઈ છે. જેએન.1 નો પ્રથમ દર્દી કેરળમાં મળી આવ્યો હતો. કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 3 દર્દી પણ મૃત્યુ પામી ગયા જેની સાથે મૃતકોની સંખ્યા 5,33,327 પર પહોંચી ગઈ છે.
તાજેતરના કેસ મુખ્યરૂપે કેરળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 4,44,70,576 થઈ ચૂકી છે. જ્યારે દેશનો રિકવરી રેટ 98.81 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં કુલ દર્દીઓની સંખ્યા પણ 4.50 કરોડને આંબી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પલ ઈન્સાકોગ લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો.
