એક વ્યક્તિ અને તેમની માતા દ્વારા પોતાની પત્ની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવાની સજા વિરુદ્ધ દાખલ અરજીને ફગાવી દીધી

નવી દિલ્હી
મહિલાઓ વિરૂદ્ધ ગુના મામલે સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોએ મહિલાઓ વિરુદ્ધ ગુના મામલેની સુનાવણી દરમિયાન સંવેદનશીલ હોવું જોઈએ. જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની પીઠે શુક્રવારે નિર્ણય સંભળાવ્યો હતો. આ સાથે જ અદાલતે એક વ્યક્તિ અને તેમની માતા દ્વારા પોતાની પત્ની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવાની સજા વિરુદ્ધ દાખલ અરજીને ફગાવી દીધી હતી. પીડિત પત્નીનું ઝેરના કારણે મૃત્યુ થઈ ગયુ હતું.
અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, અદાલતો પર એ આશા રાખવામાં આવે છે કે, અદાલતો ગુનેગારોને પ્રક્રિયાગત અધૂરી તપાસ અથવા પુરાવાના અભાવના કારણે સજાથી બચવા નહીં દેશે. જો એવું થશે તો પીડિત સંપૂર્ણપણે નિરાશ થઈ જશે કે, ગુનેગારોને સજા નહીં મળશે.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ઉત્તરાખંડ હાઈકોર્ટના માર્ચ 2014ના આદેશને પડકારતી બે દોષિતોની અરજી પર આપ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે આ મામલામાં નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. 2007માં નોંધાયેલા કેસમાં નીચલી કોર્ટે મૃતકના પતિ અને સાસુને દોષિત ઠેરવ્યા હતા.
નીચલી અદાલતે મૃતક મહિલાના પતિ બલવીર સિંહને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 498-એ (એક પરિણીત મહિલા સાથે ક્રૂરતા આચરવી) હેઠળ દોષી ઠેરવ્યો હતો. આ સાથે જ મૃતિકાના સાસુને આઈપીસીની કલમ 498-એ હેઠળ દોષી ઠેરવી હતી.
સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી દલીલો પ્રમાણે મૃતક મહિલાના લગ્ન ડિસેમ્બર 1997માં બલવીર સિંહ સાથે થયા હતા. બીજી તરફ જૂન 2007માં તેમના પિતાએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક અરજી કરી હતી જેમાં મેં 2007માં શંકાસ્પદ સંજોગોમાં તેમની પુત્રીના મૃત્યુના સંબંધમાં પોલીસને એફઆઈઆર નોંધવા નિર્દેશ આપવા માટે માંગ કરી હતી. બાદમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને મહિલાના પતિ અને સાસુની ધરપકડ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન બંનેએ પોતાને નિર્દોષ ગણાવ્યા અને કહ્યું કે, તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. ટ્રાયલ કોર્ટમાં દોષી જાહેર થયા બાદ બંનેએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સાથે જ હાઈકોર્ટે પણ તેમની સજાને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે મૃત્યુનું કારણ ઝેર હતું.
