ઈઝરાયેલમાં યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી ભારતમાં રહેતા ઈઝરાયેલીઓ ઘણા ચિંતિત જોવા મળી રહ્યા છે, તેઓ પોતાના વતન પરત ફરવા માંગે છે

નવી દિલ્હી
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલમાં ભારે ખુંવારી સર્જાય બાદ ભારતમાં વસતા ઈઝરાયેલીઓ પણ ચિંતિત બની ગયા છે. વિશ્વભરમાં પણ આ યુદ્ધ અંગે ભારે ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી છે. યુદ્ધમાં બંને દેશોના હજારો લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. એટલું જ નહીં હમાસે ઘણા ઈઝરાયેલીઓને બંધક પણ બનાવ્યા છે, ત્યારે ભારતમાં પણ યુદ્ધને લઈ જુદી જુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભારતના ઘણા શહેરોમાં ઈઝાયેલી નાગરિકો વસેલા છે, જેમને યુદ્ધમાં સામેલ થવાનો સરકારે આદેશ આપ્યો હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.
હિમાચલ પ્રદેશના ધર્મકોટામાં ઈઝરાયેલી નાગરિકોનો જમાવડો જોવા મળતો રહ્યો છે, જોકે જ્યારથી ઈઝરાયેલમાં યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી ભારતમાં રહેતા ઈઝરાયેલીઓ ઘણા ચિંતિત જોવા મળી રહ્યા છે, તેઓ પોતાના વતન પરત ફરવા માંગે છે. ઘણા ઈઝરાયેલીઓ પોતાના દેશ પરત ફર્યા છે, તો કેટલાક જવાની તૈયારીઓ કરી રહ્યા છે. વાસ્તવમાં ઈઝરાયેલે યુદ્ધને ધ્યાને રાખી રિઝર્વ સૈનિકોને પણ યુદ્ધનાં મેદાનમાં ઉતારી દીધા છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો પણ સેનામાં સામેલ થવાની સંભાવનાઓને જોતા લોકો વતન પરત ફરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશના ધર્મકોટામાં ઈઝરાયેલીઓનું ખબાદ હાઉસ પણ આવેલું છે, જ્યાં તમામ ઈઝરાયેલીઓ પૂજા માટે એકત્ર થતા હોય છે, જોકે યુદ્ધના કારણે હવે અહીં સન્નાટો છવાયો છે. ઈઝરાયેલી નાગરિક રોઈએ કહ્યું કે, દેશની ખરાબ સ્થિતિને જોતા તેઓ ઈઝરાયેલ પરત ફરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલ સરકારે તેમને યુદ્ધમાં સામેલ થવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીના પહાડગંજની ઘણી હોટલોમાં ઈઝરાયેલી નાગરિકો રોકાયા છે. પહાડગંજમાં ઈઝરાયેલીઓનું ધર્મસ્થળ ખબાદ છે, જ્યાં યુદ્ધના પગલે કડક સુરક્ષા બંદબોસ્ત ગોઠવી દેવાયો છે. અહીં આવેલા નાગરિકો દેશમાં પરત ફરવા મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ઘણી એરલાઈન્સોએ ફ્લાઈટો કેન્સલ કરી દીધી છે.
રાજસ્થાનના અજમેરમાં પુષ્કર ખાતે ખબાદ હાઉસ છે, જે ઈઝરાયેલીઓનું ઠેકાણું હોવાનું કહેવાય છે. આ એક ધાર્મિક સ્થળે છે અને તેમાં માનનારાઓની સંખ્યામાં પણ વધુ છે. પહાડગંજની જેમ અહીં પણ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
બંને દેશો વચ્ચે યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 1800થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ઈઝરાયેલાના 1200થી લોકો સામેલ છે, જ્યારે 2300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ગાઝા પટ્ટીમાં 830 પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે અને 4250 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયેલી સેનાનો દાવો છે કે, તેણે પોતાના વિસ્તારમાં 1500થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે.
