કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પેલેસ્ટિનિયન લોકોની જમીન, સ્વ-શાસન અને સન્માન સાથે જીવવાના અધિકારોનું સમર્થન આપવાની વાત કરી

નવી દિલ્હી
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પેલેસ્ટાઈનનું સમર્થન કરવા પર કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસની તુલના પાકિસ્તાન અને તાલિબાન સાથે કરી નાખી છે. તુષ્ટીકરણ માટે દેશહિતને દાવ પર લગાવી દેવું તેમના ડીએનએમાં છે.
આસામના સીએમ એ કહ્યું કે, કોંગ્રેસના પ્રસ્તાવમાં પણ એક સમાનતા મળે છે જે સમાનતા પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે મળે છે. તેમણે તેમનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોંગ્રેસે હમાસની ટીકા ન કરી. ઈઝરાયેલ પર આતંકવાદી હુમલાની નિંદા ન કરી. કોંગ્રેસે મહિલાઓ અને બાળકોને બંધક બનાવવા પર મૌન સાધ્યુ છે. સરમાએ કહ્યું કે, દેશના હિતને તુષ્ટીકરણની રાજનીતિ માટે દાવ પર લગાવવું કોંગ્રેસના ડીએનએમાં છે.
પેલેસ્ટાઈનનું સમર્થન કરવા બદલ ભાજપ પણ કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી) એ પેલેસ્ટિનિયન લોકોની જમીન, સ્વ-શાસન અને સન્માન સાથે જીવવાના અધિકારોનું સમર્થન આપવાની વાત કરી હતી. આ મુદ્દે ભાજપે કહ્યું કે, કોંગ્રેસ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને સમર્થન કરે છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા સવાલ કર્યો કે, જ્યારે કોંગ્રેસ ખુલ્લેઆમ હિંસા સાથે ઉભી છે તો તે દેશ અને તેના નાગરિકોની સુરક્ષા કેવી રીતે કરશે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સામાન્ય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસે સોમવારે કહ્યું હતું કે, વર્તમાન સંઘર્ષને જન્મ આપતા અનિવાર્ય મુદ્દાઓ સહિત તમામ પેન્ડિંગ મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવાની જરૂર છે. ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટીની કાર્યકારી સમિતિએ, બેઠકમાં પસાર કરાયેલા પ્રસ્તાવમાં તાત્કાલિક યુદ્ધવિરામનું આહવાન કર્યું અને કહ્યું હતું કે, તેઓ પેલેસ્ટિનિયન લોકોની જમીન, સ્વ-શાસન અને આત્મ-સમ્માન સાથે જીવન જીવવાના અધિકારો માટે પોતાના લાંબા સમયથી ચાલતા સમર્થનનું પુનરાવર્તન કરે છે.
