ભારતના તમામ સ્તરેથી ઈઝરાયેલને સમર્થન મળ્યુ છે, અધિકારીઓ, મંત્રીઓ, નાગરિકો અને ભારતના લોકો પણ સોશ્યલ મીડિયામાં સમર્થન આપી રહ્યા છે

જેરૂસલેમ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બંને બાજુએ મોટી ખુમારી થઈ છે ત્યારે ભારતે ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને ભારતની મિત્રતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે અમને ભારતના તમામ સ્તરેથી સમર્થન મળ્યું છે અને ભારત તરફથી કોઈપણ સહાયનું સ્વાગત કરીશું.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપતા બંને દેશોના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ બન્યા છે. આ સાથે જ ઈઝરાયેલને પણ ભારત પર પૂરો ભરોસો છે. ઈઝરાયેલના રાજદૂતને જ્યારે હોસ્પિટલ વિસ્ફોટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે હમાસ નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. વધુમાં કહ્યું હતું કે હમાસને અમારા આક્રમણ પહેલા ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગને ખાલી કરવા માટે સમય અને ચેતવણી પણ આપવામાં આવી હતી. તેઓ અમને રોકવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ બનાવી શકે પણ અમે રોકાવાના નથી તેમ તેમણે કહ્યું હતું.
ભારત પાસેથી ઈઝરાયેલ શું અપેક્ષા રાખે છે તેના પ્રશ્નના જવાબમાં ઈઝરાયેલના રાજદૂતે કહ્યું હતું કે હમાસે જ્યારે ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારે ભારતના વડાપ્રધાને પહેલી પ્રતિક્રિયા આપી હતી અને થોડા દિવસો બાદ ફરીથી વડાપ્રધાન નેતન્યાહુ સાથે વાત કરી હતી. રાજદૂતે કહ્યું હતું કે અમને ભારતના તમામ સ્તરેથી સમર્થન મળ્યુ છે. અધિકારીઓ, મંત્રીઓ, નાગરિકો અને ભારતના લોકો પણ સોશ્યલ મીડિયામાં ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે 200થી વધુ ઈઝરાયલી બંધકોની મુક્તિ માટે ભારત તરફથી કોઈપણ સહાયનું સ્વાગત કરીશું. તેઓ હજુ પણ હમાસના આતંકવાદીઓના નિયંત્રણમાં છે. બંધકોમાં ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ છે.
ઈઝરાયેલના રાજદૂતે કહ્યું હતું કે હમાસના ટોચના કમાન્ડર ઈસ્તંબુલ અને કતાર જેવા સ્થળોએ વૈભવી જીવન જીવી રહ્યા છે. આપણે સમજીએ છીએ કે વિશ્વમાં ભારતનું સ્થાન વિશેષ છે. ઘણા દેશો તે નિર્દોષ નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે હમાસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ભારતના આ દેશો સાથે સારા સંબંધો છે. જો ભારત તેમના પર દબાણ લાવશે તો અમે તેનું સ્વાગત કરીશું.
