અકસ્માતનો ભોગ બનનારનો પરિવાર દિલ્હીમાં રહે છે, પીડિતો ઝારખંડના રહેવાસી છે

આગરા
ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં યમુના એક્સપ્રેસ-વે પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ગ્રેટર નોઇડાથી આગરા તરફ જતા સમયે ગઈકાલે મોડી રાત્રે 1:00 વાગ્યે સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
મળેલી માહિતી અનુસાર ગ્રેટર નોઇડાના રબૂપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ-વે પર ગ્રેટર નોઇડાથી આગરા તરફ જતી વખતે ઝીરો પોઈન્ટથી 25 કિલોમીટર દૂર અજ્ઞાત વાહને એક કારને ટક્કર મારી હતી. દુર્ઘટનામાં ગંભીર રૂપથી ઘાયલ તમામ 8 લોકોને જેવરના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 5 લોકોને ડોકટરે મૃત જાહેર કર્યા હતા, જ્યારે 3 બાળકોની હાલત ગંભીર છે. ત્રણેયને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળેલી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનનારનો પરિવાર દિલ્હીમાં રહે છે. પીડિતો ઝારખંડના રહેવાસી છે. કાર સવારો આજે સવારે યમુના એક્સપ્રેસ-વે દ્વારા કારમાં દિલ્હીથી ઝારખંડ જઈ રહ્યા હતા. આ તમામ લોકો મૂળ ઝારખંડના પલામૂના હુસૈનાબાદ પોલીસ સ્ટેશનના જપલા કચરા ગામના રહેવાસી હતા.
