સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદૂત ગિલાડ એર્દાનએ યુએન ચીફ એન્ટોનિયો ગ્યુટરેસને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું

વોશિંગ્ટન
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયેલું છે. દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ ગાઝા પર ઈઝરાયલના હુમલાની આકરી ટીકા થઈ રહી છે તો બીજી બાજુ ઈઝરાયલે હમાસની તુલના આઈએસઆઈએસ સાથે કરી દીધી છે. આ યુદ્ધ મામલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ચર્ચા થઇ હતી.
આ બેઠકમાં જ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસના રાજીનામાની માગ કરાઈ હતી. ઈઝરાયલ દ્વારા આ માગ કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદૂત ગિલાડ એર્દાનએ યુએન ચીફ એન્ટોનિયો ગ્યુટરેસને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું હતું.
એર્દાને કહ્યું કે યુએન ચીફ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સામૂહિક હત્યા અંગે જે સમજ દર્શાવી રહ્યા છે તે સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વ માટે ઉપયુક્ત નથી. હું તેમના રાજીનામાની માગ કરું છું. એવા લોકો સાથે વાત કરવાનું કોઈ ઔચિત્ય નથી જે ઈઝરાયલી અને યહૂદી લોકો વિરુદ્ધ સૌથી ભયાવહ અત્યાચારોને લઈને સંવેદના વ્યક્ત કરે છે. મારી પાસે શબ્દો નથી. તેમણે કહ્યું કે એવા સમયે જ્યારે ઈઝરાયલ પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે ત્યારે યુએન પ્રમુખે કોઈપણ પ્રકારની શંકા વિના એ સાબિત કરી દીધું છે કે તે આ ક્ષેત્રની વાસ્તવિકતાથી સંપૂર્ણપણે અજાણ છે. તે નાજી હમાસના નરસંહારને અનૈતિક રીતે જુએ છે.
યુએનના ચીફ એન્ટોનિયો ગ્યુટરેસે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું સન્માન થવું જોઇએ. તેમણે ગાઝા પર પટ્ટી પ રઇઝરાયલી સેનાના હુમલા સામે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોઈપણ પક્ષ આંતરરાષ્ટ્રીય કાયદાઓથી ઉપર નથી. ગાઝાના લોકો પાસે ભોજન, પાણી અને દવા જેવી પાયાની વસ્તુઓ પણ નથી. એવામાં તેમણે ઈઝરાયલ અને હમાસ વચ્ચે તાત્કાલિક ધોરણે માનવીય યુદ્ધવિરાની અપીલ કરી હતી.
