ગંભીરના આ નિવેદનને ફેન્સ વિરાટ કોહલી સાથે જોડી રહ્યા છે, ફેન્સનું માનવું છે કે ગંભીરે કોહલીને ટોણો માર્યો છે
નવી દિલ્હી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે વર્લ્ડ કપ2023માં ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે 20 વર્ષ પછી ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આ મેચ દરમિયાન ઘણું બધું જોવા મળ્યું હતું. એક તરફ જ્યાં ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા તો બીજી તરફ ભારતીય ટીમના બોલરોએ ટીમને જીત અપાવી હતી. આ મેચમાં રોહિત શર્માએ 87 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એક ચેનલ સાથે વાતચીત દરમિયાન રોહિત શર્માની આ શાનદાર ઇનિંગના વખાણ કર્યા હતા. પરંતુ તેણે વાતચીત દરમિયાન વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. ગંભીરે વિરાટ કોહલી પર આડકતરી રીતે કટાક્ષ કર્યો હતો. હવે ગંભીરનું આ નિવેદન ખુબ ચર્ચામાં આવી ગયું છે.
ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે વન-ડે વર્લ્ડ કપ2023માં રોહિતની બેટિંગના વખાણ કર્યા હતા. પરંતુ આ દરમિયાન તેણે ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. ગંભીરે કહ્યું હતું કે, ‘રોહિત શર્માએ અત્યાર સુધીમાં 40-45 સદી ફટકારી દીધી હોત, પરંતુ તેને સદીઓનું ઝનૂન નથી. તે નિઃસ્વાર્થ છે.’ ગંભીરના આ નિવેદનને ફેન્સ વિરાટ કોહલી સાથે જોડી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે ગંભીરે કોહલીને ટોણો માર્યો છે.
રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે 101 બોલમાં શાનદાર 87 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી 398 રન બનાવ્યા છે. જેમાં તેણે 1 સદી અને 1 ફિફ્ટી ફટકારી છે. વનડેમાં રોહિતના નામે 31 સદી છે. જયારે વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે બાંગ્લાદેશ સામે વનડે કરિયરની 48મી સદી ફટકારી હતી અને ન્યુઝીલેન્ડ સામે તેણે 95 રન બનાવ્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડ સામે તે શૂન્યના સ્કોર પર આઉટ થઇ ગયો હતો.