તમામ જરૂરી પૂર્વ મંજૂરી બાદ ટૂંક સમયમાં શરૂ થશે સેવા, પર્યટન અને વિવિધ આયોજનોને મળશે નવી ગતિ
કેવડીયા
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની મંજૂરી બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાશે.
પ્રવાસીઓની વધતી માગ અને અગાઉની સફળતા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે, જેને પ્રવાસીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રમણીય દૃશ્યો નિહાળવાનો અનુભવ અવિસ્મરણીય રહ્યો છે. પ્રવાસીઓની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને આ વિશાળ અને આધુનિક ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી છે.
વિવિધ કાર્યક્રમો અને ઉત્સવો માટે વિશેષ ડિઝાઇન
આ નવી ક્રૂઝ માત્ર નદીમાં પ્રવાસ માટે જ નહીં, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમો માટે પણ વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાનગી સમારંભોનું આયોજન કરી શકાશે. વિશેષ ડેકોરેટિવ લાઇટિંગને કારણે સાંજ અને રાત્રિના સમયે ક્રૂઝનું સૌંદર્ય અનેકગણું વધી જશે.
નવી ક્રૂઝ અને હાલની ક્રૂઝની વિશેષતાઓ
| સુવિધાઓ | નવી ક્રૂઝ | હાલમાં કાર્યરત ક્રૂઝ |
| મુસાફરી ક્ષમતા | 600 પ્રવાસીઓ | 200 પ્રવાસીઓ |
| ડાઇનિંગ સુવિધા | 250 લોકો | 100 લોકો |
| લંબાઈ x પહોળાઈ | 30 x 12 મીટર | 24 x 9 મીટર |
| સ્ટેજનું માપ | 5 x 4 મીટર | 4 x 3 મીટર |
પર્યટન વિકાસ અને રોજગારીને પ્રોત્સાહન
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ નવી ક્રૂઝના આગમનથી એકતા નગરના પર્યટનને નવી ઊંચાઈ મળશે તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ મોટો વેગ મળશે.
