બાકુ પાસેના એક સ્થળનું ભારતીય કનેકશન, આ એક મંદિર છે તેના ટેમ્પલ ઓફ ફાયર કહેવામાં આવે છે જે બાકુ આતિશગાહના નામથી જાણીતું છે

બાકુ
આ સ્થળે એક અગ્નિકૂંડ છે જેમાંથી આગની જવાળાઓ નિકળી રહી હોવાના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આતિશગાહ તરીકે ઓળખાતા આ સ્થળની દીવાલો પર દેવનાગરી લિપિ,સંસ્કૃત અને ગુરુમુખી લિપી (પંજાબી)માં કેટલાક લેખો પણ લખવામાં આવ્યા છે. શિલાલેખો પર હિંદુ દેવતા ગણેશ, શીવજી અને દેવી જવાળાનો ઉલ્લેખ છે
એક સમયે સોવિયત સંઘનો ભાગ ગણાતા મધ્ય એશિયાઇ અઝરબેઝાન દેશમાં ૯૮ ટકા લોકો ઇસ્લામ ધર્મ પાળે છે પરંતુ અઝરબેઝાનની રાજધાની બાકુ પાસેના એક સ્થળનું ભારતીય કનેકશન ચર્ચામાં છે. આ એક મંદિર છે તેના ટેમ્પલ ઓફ ફાયર કહેવામાં આવે છે જે બાકુ આતિશગાહના નામથી જાણીતું છે.
આ આતેશગાહ એટલે કે જવાલા મંદિર રાજધાની બાકુ નજીકના સુરાખાની શહેરમાં આવેલું એક મધ્યકાલીન હિંદુ ધાર્મિક સ્થળ છે. જેમાં પંચ ભૂજા આકારની વચ્ચે એક મંદિર છે. આ મંદિરની બહારની દીવાલો પાસે ઓરડા જેવા મળે છે જયાં એક સમયે પૂજારીઓ રહેતા હશે એવું માનવામાં આવે છે. ફારસીમાં આતિશનો અર્થ આગ થાય છે. ઇરાની લઢણમાં આતેશ એવો ઉચ્ચાર થાય છે.
ગાહનો મતલબ સિંહાસન કે ઘર એવો થાય છે. ઇદગાહ, બંદરગાહની જેમ આતિશગાહ એટલે આગનું ઘર જે અગ્નિ ટેમ્પલ તરીકે જાણીતું છે. સુરાખાની શહેર અઝરબેઝાનના આબશેરોન પ્રાયદ્વીપ પર આવેલું છે જે કાસ્પિયન સાગરને મળે છે. અહીંયાની જમીનમાં દાયકાઓથી કુદરતી ગેસ અને તેલનું ગળતર થતું રહે છે. આથી કેટલાક સ્થળે સ્વયં આગ પકડી લે છે. આગને પારસી અનુયાયીઓ પવિત્ર માને છે. હિંદુ વૈદિક ધર્મ અને પારસી ધર્મ બંનેમાં અગ્નિને પવિત્ર માનવામાં આવે છે. આથી આ પારસી કે હિંદુ મંદિર અંગે કેટલાક વિદ્વાનોમાં મતભેદ રહયા છે. મંદિર પર ત્રિશુલ આકાર હિંદુ ધર્મની નિશાની ગણાય છે આથી કેટલાક વિદ્વાનો હિંદુ ટેમ્પલ જ માને છે. તો કોઇ પારસી અને હિંદુઓને જ એક સરખા જ માને છે. આ સ્થળે વર્ષોથી આપમેળે જયોત જલતી હોવાનો મહિમા ગાવામાં આવે છે.
આ સ્થળે મંદિરમાં એક અગ્નિકૂંડ છે જયાં મંદિર સતત આગની જવાળાઓ નિકળી રહી હોવાના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. મંદિરની દીવાલો પર દેવનાગરી લિપિ,સંસ્કૃત અને ગુરુમુખી લિપી (પંજાબી)માં કેટલાક લેખો પણ લખવામાં આવ્યા છે. શિલાલેખો પર હિંદુ દેવતા ગણેશ, શીવજી અને દેવી જવાળાનો ઉલ્લેખ છે. એક માહિતી મુજબ મધ્યકાળના અંતમાં મધ્ય એશિયામાં ભારતીય સમુદાયના પંજાબ અને મુલ્તાન વિસ્તારના લોકો આર્મેનિયાઇઓ સાથે વ્યાપાર કરતા હતા. કાસ્પિયનસાગર પર ચાલતા જહાજોના લાકડાકામ ભારતીય કારીગરો કરતા હતા. ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે બાકુમાં રહેતા કોઇ ભારતીય સમુદાયના લોકોએ જ આ અગ્નિ સ્થળ બનાવ્યું હશે. અથવાતો કોઇ જુના ઢાંચાની મરામત કરીને સ્થળનું નિર્માણ થયું હોય તેવું પણ બની શકે છે.
યુરોપિયન વિદ્વાનો અને પ્રવાસીઓ ભારતીય ઉપ મહાદ્વીપમાં આવતા થયા ત્યારે બાકુ અને ભારત વચ્ચેના આ સ્થળે પ્રવાસ કરતા હિંદુ ભકતો પણ મળતા હતા. એક માહિતી મુજબ ફાયર ટેમ્પલના આ મંદિરના નિર્માતા બુધ્ધદેવ જે કુરુક્ષેત્ર પાસેના માદજા ગામના રહેવાસી હતા. નિર્માણની સંવત ૧૭૮૩ અને મંદિર તૈયાર કરનારાના નામમાં ઉત્તમચંદ અને શોભરાજનું પણ નામ છે. ઐતિહાસિક સાક્ષીઓ મુજબ ભારતીય પૂજારીઓ રોજ પૂજાપાઠ કરતા હતા. પહેલા પણ આવીને દેવી માનીને પૂજતા હતા. ભારતીય પૂજારીઓ ઇસ ૧૮૬૦માં કોઇ પણ કારણોસર આ સ્થળ છોડીને જતા રહયા ત્યારથી આ મંદિર સૂનુ પડયું છે.
આ મંદિરમાં શીખ અને પારસી પણ અલગ અલગ સમયે પૂજા કરતા હતા. અઝરબેઝાન સરકારે ૧૯ ડિસેમ્બર ૨૦૦૭માં આ મંદિરને ઐતિહાસિક અને વાસ્તુશિલ્પ આરક્ષિત જાહેર કરી હતી. ૩૦ ડિસેમ્બરે ૧૯૯૮માં આ સ્થળેને યુનેસ્કોએ સૂચિત યાદીમાં રાખ્યું હતું પરંતુ બાકુ પહાડીઓનો સમાવેશ થયો હોવાનું જાણવા મળતું નથી. અઝરબેઝાનનો આ વિસ્તાર કુદરતી ગેસનો ભંડાર રહયો છે.
પથરાળ સપાટી પર નાના છેદ પડવાથી બહાર આવતો ગેસ હવાની તેજ ગતિના સંપર્કમાં આવે એટલે અગ્નિ પ્રગટેલો રહેતો હતો પરંતુ ૧૯૬૯ આસપાસ નેચરલ ગેસના ભંડારના દબાણમાં કુદરતી રીતે ફેરફાર થવાથી જવાળા બંધ થઇ જતી હતી આથી ગેસ લાઇન દ્વારા આગ પ્રગટેલી રાખવામાં આવે છે. બાકુ આતિશગાહને મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવ્યું છે. દર વર્ષે ૧૫૦૦૦ જેટલા પ્રવાસીઓ મુલાકાતે આવે છે. ૨૦૧૮માં ભારતના તત્કાલિન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અઝરબેઝાન ગયા ત્યારે આ સ્થળની મુલાકાત લીધી હતી.
