મોદીની અપીલ બાદ સોના બજારમાં સન્નાટો, ખરીદી પર અસર થવાની શક્યતા

Spread the love

મોદીના સોનાની ખરીદી પર સ્વઅંકુશની અપીલથી ગુજરાતના જ્વેલરી બજારમાં હડકંપ, સોનાની આયાતમાં ગુજરાત દેશમાં ટોચ પર

એસવીએન, નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી પર જનતાને સ્વ-અંકુશ લાદવા અનુરોધ કર્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડમાં અપેક્ષિત સફળતા ન મળતા અને સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યુટીની પણ કોઈ ખાસ અસર ન થતા પ્રજાને હાલની કપરી આર્થિક પરિસ્થિતિમાં એક વર્ષ સુધી કિંમતી ધાતુની ખરીદી ન કરવા અપીલ કરી છે. ગુજરાત ભારતના સૌથી મોટા સોની બજારમાંનું એક બજાર છે. આ અપીલથી ગુજરાતના બજાર ઉપર પણ અસર થવાની શક્યતા છે.

700 ટનની આયાતમાં ગુજરાત ટોચ પર

ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ગુજરાત માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું ડાયમંડ હબ કહેવાય છે. વિશ્વના 92% ડાયમંડ પ્રોસેસ માત્ર ગુજરાતમાં થાય છે અને ભારતના ડાયમંડ એક્સપોર્ટમાં પણ ગુજરાતનો 85% સિંહફાળો છે. જ્વેલરી નિકાસમાં પણ ગુજરાત અગ્રેસર છે. દેશના 700 ટનની આયાતમાં ગુજરાત પણ ટોચના સ્થાને છે. ગુજરાતના ભારતના સૌથી મોટા સોનાના બજારોમાંનું એક છે. ગુજરાતનો વાર્ષિક સોનાનો વપરાશ અંદાજે 70-100 ટનની વચ્ચે છે, જે ભારતના કુલ વપરાશમાં અંદાજે 10-12% જેટલો હિસ્સો છે.

ગુજરાતની સોનાની આયાતમાં 30%નો વધારો

એક રિપોર્ટ અનુસાર ઊંચા ભાવ છતાં એપ્રિલથી ફેબ્રુઆરી, 2026ના સમયગાળા દરમિયાન ગુજરાતની સોનાની આયાતમાં આશરે 30% આસપાસનો વધારો થયો છે. માત્ર સોના જ નહીં ચાંદી પાછળ પણ ગુજરાતની પ્રજા ઘેલી છે. આ વર્ષે ચાંદીની આયાતમાં પણ નોંધપાત્ર 150% નો વધારો થયો છે. એક નિષ્ણાતે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ક્રૂડ ઓઈલ, ખાદ્ય તેલ અને સોના-ચાંદીની આયાત પર કરેલી અપીલ દેશ હિતમાં છે. પરંતુ જેમ્સ અને જ્વેલરી સેક્ટરના એક કરોડ લોકોની રોજગારીને પ્રત્યક્ષ અસર થશે.

આયાતની દ્રષ્ટીએ સોનું ક્રૂડ ઓઈલ બાદ બીજા ક્રમે

વિશ્વના ચોથા સૌથી મોટા સોનાના આયાતકાર દેશ ભારતમાં દર વર્ષે માત્ર 1 થી 2 ટન સોનાનું ઉત્પાદન થાય છે અને દેશનો વપરાશ 700-800 ટન આસપાસ છે. 2025 ના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં ઉત્પાદન 1.5 ટન આસપાસ હતું અને કુલ વાર્ષિક ડિમાન્ડ 11% ઘટવા છતાં 663.7 ટન રહી હતી. ભારતમાં સૌથી વધુ આયાત થતી પ્રોડક્ટોમાં ક્રૂડ ઓઈલ બાદ સોનું બીજા ક્રમે છે. દેશના કુલ આયાત બિલમાં સોનાનો હિસ્સો 8% આસપાસ છે પરંતુ જ્વેલરી સેક્ટર સામે દેશના અર્થતંત્રમાં 8% જેટલો ફાળો પણ આપે છે.

…તો આયાત પરની નિર્ભરતા ઘટે

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે સરકારને ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. ભારતીયો પાસે દેશભરમાં આશરે 40,000 થી 50,000 ટન સોનું હોવાનો અંદાજ છે. કાઉન્સિલના મતે જો આ સોનામાંથી 10% થી 20% પણ મોનેટાઈઝ કરવામાં આવે તો સોનાની આયાત પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *