સ્પાઈસ જેટની બોઈંગ-737 ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

અમદાવાદ
અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો. મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને કરાચી તરફ ડાયવર્ટ કરાઈ હતી. એરલાઈન્સ અનુસાર સ્પાઈસ જેટની બોઈંગ-737 ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનનું કરાચીના જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 27 વર્ષીય ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને તબીબી સહાયની જરૂર હતી. તેમણે કહ્યું કે સીએએની મેડિકલ ટીમે પેસેન્જરને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડી હતી, જેમનું સુગર લેવલ ઘટી ગયું હતું અને હૃદયના ધબકારા વધી રહ્યા હતા. મુસાફર સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો હતો.
