જામનગર પાસે આઈશરનું ટાયર ફાટતાં અકસ્માતમાં એકનું મોત

Spread the love

લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા ભરવાડ પરિવારના 50થી વધુ સભ્યો જાન લઈને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહ્યા હતા

જામનગર

જામનગરના લાલપુરના મેમાણા ગામેથી ભરવાડ પરિવારની જાન આઇસરમાં બેસીને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહી હતી, દરમિયાન સવારે આઠેક વાગ્યાના અરસામાં ધારાગઢ પાસે અકસ્માત નડ્યો હતો, અને અંદર બેઠેલા ચાલીસ જેટલા જાનૈયાઓને નાની મોટી ઇજા થઈ હતી, જે પૈકી એક જાનૈયાનું મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય બે ને ગંભીર ઇજા થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા ભરવાડ પરિવારના 50થી વધુ સભ્યો આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી નીકળીને ભાણવડ નજીક ભેંનકવડ ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહ્યા હતા, જેમાં સ્ત્રી પુરુષો અને બાળકો વગેરેનો સમાવેશ થાય છે. જે આઇસર ભાણવડ નજીક ધારાગઢ પાસે પહોંચતાં એકાએક આઇસરનું ટાયર ફાટ્યું હતું, અને રોડથી નીચે ઉતરી ગયું હતું, જેથી 40થી વધુ જાનૈયાઓને નાની મોટી ઈજા થઈ હતી. જે તમામને જુદી જુદી એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે ભણવડની સરકારી હોસ્પિટલ, લાલપુરની સરકારી હોસ્પિટલ, ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

આ જાનૈયાઓ પૈકી એક યુવાન માલાભાઈ હમીરભાઈ ઝુંઝા (48)નું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે જાનૈયાઓને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. અન્યની નાની મોટી સારવાર ચાલી રહી છે. આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે અફડા તફડી સર્જાઈ હતી, અને ભાણવડ પોલીસ તેમજ લાલપુર પોલીસ ની ટુકડી જુદી જુદી હોસ્પિટલોમાં દોડતી થઈ. જે સમગ્ર બનાવ મામલે ભાણવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *