કાઠી સમાજ રાજ્યમાં 5 જેટલી બેઠક પર અસર કરી શકે છે

Spread the love

કાઠી સમાજની ગુજરાતમાં 7થી 8 ટકા વસતી, રાજકોટ- સુરેન્દ્રનગર બેઠક પર આ સમાજની બહોળી બહૂમતિ છે

ગાંધીનગર

રૂપાલાથી નારાજ ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. 12 એપ્રિલે ક્ષત્રિય સમાજની એક મોટી જ્ઞાતિ કાઠી સમાજે રૂપાલના સમર્થન આપ્યું છે પરંતુ 13 એપ્રિલે કાઠી સમાજના અન્ય લોકોએ મીડિયા સામે આવીને રૂપાલાનો વિરોધ કર્યો. એટલે કે હવે કાઠી સમાજમાં જ બે ભાગ પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચેનો આ વિવાદ હવે ક્યાં જઈને અટકશે?. આ વિવાદને કારણે સમાજમાં અંદરોઅંદર ભાગલા પડવા લાગ્યા છે.

રૂપાલા વિવાદ સમાવવાનું નામ નથી લઈ રહ્યો એક પછી એક રોજ નવા નવા રંગોનો તેમાં ઉમેરો થઈ રહ્યો છે. આ લડાઈ હવે સમાજની અંદર જ અંદરો અંદરની લડાઈ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જે કાઠી સમાજની ગુજરાતમાં 7થી 8 ટકા વસતી છે. રાજકોટ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આ સમાજની બહોળી બહૂમતિ છે. તે સમાજ પણ હવે રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈમાં વહેંચાઈ ગયો છે. સમાજની એક વર્ગ રૂપાલાને માફ કરવાના મુડમાં છે. તો બીજો વર્ગ માફ નહીં કરવાના મુડમાં છે. આ જ સમાજના પ્રમુખ મુન્નાભાઈ વિંછીયા અને સમાજના અન્ય અગ્રણીઓએ મીડિયા સામે આવીને એવું નિવેદન આપ્યું હતું કે, અમે હિન્દુત્વ અને સનાતનના મુદ્દાને કારણે રૂપાલાની સાથે છીએ. કોઈ માફી માંગે કે કોઈ માફી મંગાવે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. 

કાઠી સમાજના આગેવાન પ્રતાપ ખુમાણે મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, રૂપાલાના નિવેદનનો અમે વિરોધ કરીએ છીએ. જો કે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે અમારો વિરોધ રૂપાલા સામે છે. ભાજપ સામે નથી રૂપાલાએ નિખાલસ્તાથી માફી નથી માગી તેવું પણ તેમણે કહ્યું. રૂપાલાની કોઈ પણ માફી સમાજને લાગેલી ચોટને દૂર કરી શકે તેમ નથી. અમે રૂપાલા સામે ચાલી રહેલા આંદોલનની સાથે છીએ.

આ વિવાદથી એટલું તો સમજી જ શકાય છે કે સમાજની અંદર જ બે ભાગ પડી ગયા છે. જે સમાજ માટે સારી વાત નથી. હવે વાત કાઠી સમાજની કરીએ તો, કાઠી સમાજની મહેમાનગતિના અનેક ગુણગાન ગાવામાં આવે છે. ગુજરાતમાં આ સમાજની મોટી વસતી છે. સમગ્ર રાજ્યમાં 7થી 8 ટકા આ સમાજનું પ્રભુત્વ છે. એકલા રાજકોટમાં દોઢ લાખ જેટલા મતદારો કાઠી છે. તો રાજકોટ સિવાય સુરેન્દ્રનગરમાં પણ દોઢ લાખ જેટલા કાઠી મતદારો છે. આ સિવાય અમરેલી, રાજુલા, જૂનાગઢ અને બોટાદમાં કાઠી સમાજની મોટી વસતી વસવાટ કરે છે. 

કાઠી સમાજની વસ્તી ન માત્ર રાજકોટ પરંતુ સુરેન્દ્રનગર અને અમરેલી લોકસભા બેઠક પર પણ મોટી સંખ્યામાં છે. આ તમામ લોકો કોની તરફેણમાં મતદાન કરે છે તે જોવાનું રહેશે. કારણ કે રૂપાલા વિવાદથી નુકસાન માત્ર રૂપાલાને જ નહીં પરંતુ ભાજપને ઘણી બધી બેઠક પર થઈ રહ્યું છે. ત્યારે એ જોવાનું રહેશે કે આ વિવાદનો ક્યારે કોઈ સુખદ હલ નીકળે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *