પેટાઃ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ચાર-પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, હિમાચલમાં 100થી વધુ રસ્તાઓ બ્લોક, બગેશ્વરમાં વીજળી પડતા 400 બકરીઓના મૃત્યુ

નવી દિલ્હી
ઉત્તર ભારતમાં વરસાદના કારણે સ્થિતિ કથળી રહી છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તથા પૂર આવતા ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં વીજળી પડતા 1 યુવકનું મોત થયું છે. જ્યારે બીજી બાજુ વીજળી પડતા 400 બકરીઓના મોત થતા ચકચાર મચી ગઈ છે. હજુ આગામી 4થી 5 દિવસ સુધી ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે.
ઉત્તર ભારતના લોકો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચોમાસુ બેસે એની રાહ જોઈ રહ્યા હતા. જોકે આ દરમિયાન તેમનું સપનું પૂરૂ તો થયું પરંતુ જોતજોતામાં એકસાથે એટલો ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું કે અચાનક પૂર, ભૂસ્ખલન અને જમીન ધરાશાયી થઈ ગઈ છે. આ દરમિયાન 7 લોકોના મોત નીપજ્યા છે. વિગતો પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ ખાબકી જતા અચાનક પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન 12થી વધુ વાહનો પાણીમાં તણાઈ ગયા છે. એટલું જ નહીં આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે 100થી વધુ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ પૈકી ડેમમાં ગાડી પડી જતા એમાં સવાર 2 લોકો તણાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડ્રાઈવરે ભારે વરસાદના પગલે વિઝિબલિટી ગુમાવી દીધી હતી. આ દરમિયાન તેણે ગાડી પરથી કંટ્રોલ ગુમાવી દીધો અને તે પલટી ખાઈ ગઈ હતી. તો બીજી બાજુ ટ્રેકિંગ ગ્રુપના સભ્ય એવા શખસનું પણ મોત નીપજ્યું હતું. હવે હિમાચલ પ્રદેશમાં આકસ્મિક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા વીજળી વ્યવહાર ઠપ થઈ ગયો હતો. એટલું જ નહીં આગામી 24 કલાક હિમાચલ પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ વધુ વણસી શકે એવી આગાહી પણ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 20 વર્ષીય યુવાન પર અચાનક વીજળી પડતા તેનું મોત થયું છે. એટલું જ નહીં બીજી બાજુ 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બગેશ્વરમાં વીજળી પડતા 400 બકરીઓના મૃત્યુ થયા છે. આ રીતે વીજળી પડવાની ઘટનામાં યુવકની સાથે પશુઓએ પણ જીવ ગુમાવ્યો છે. હજુ આગામી 24 કલાક સુધી અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સતત વરસી રહેલા વરસાદના કારણે ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. આની સીધી અસર ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે સહિતના માર્ગો પર પડ્યો છે. અહીં વાહનવ્યવહાર થંભી ગયો છે. એટલું જ નહીં કેદારનાથ યાત્રા પણ રવિવારે થોડા સમય માટે સ્થગિત રાખી હતી. તો બીજી બાજુ રવિવારે સવારે દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે 2 ફ્લાઈટ ડાઈવર્ટ કરવામાં આવી હતી. હરિદ્વારમાં અત્યારે રસ્તાઓ પર પાણી ફરીવળ્યું છે. જ્યારે લોકોના ઘરોમાં તથા હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલમાં તો ઓપીડી પણ બંધ કરવાની ફરજ પડી છે.
ઉત્તરાખંડમાં હવામાન વિભાગે આગામી 4થી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વળી એલર્ટને ધ્યાનમાં રાખીને ટ્રેકિંગ પણ બંધ કરી દેવાયું છે. પશ્ચિમ યૂપીના મુઝફ્ફરનગરમાં ઝૂંપડીની છત તૂટી પડતા 2 કિશોરો ઊંઘમાં જ જમીનમાં દટાઈ ગયા હતા અને જીવ ગુમાવ્યા હતા. ત્યારે બીજી બાજુ મંદિરમાં દર્શન કરવા આવેલી મહિલાનો સ્થાનિકોએ મહામહેનતે જીવ બચાવ્યો હતો.
