કલાત્મક અને સુશોભિત રથો નિહાળી જોધપુરની ધર્મ પ્રેમી જનતા બની મંત્રમુગ્ધ
જોધપુરના રાજમાર્ગો પર ઉમટ્યો ભક્તોનો પ્રવાહ, યોજાઈ અદ્ભુત નગરયાત્રા
‘ન ભૂતો ન ભવિષ્યતિ’ નગર યાત્રા નિહાળી જોધપુરવાસીઓ થયા ભાવ વિભોર
૨૨૦થી વધુ સંતો–મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ભવ્ય નગર યાત્રા
રાજસ્થાનની સંસ્કૃતિની ઝલક,આદિવાસી નૃત્ય,બાળ નૃત્ય,ઘૂમર નૃત્ય સાથે યોજાઈ નગરયાત્રા
૮૦૦થી વધુ કલાકારોની નગર યાત્રામાં ભક્તિમય પ્રસ્તુતિ
જોધપુરમાં નુતન BAPS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. એ ઉપક્રમે ૨૪ સપ્ટેમ્બર,બુધવારના રોજ મંદિરમાં સ્થાપિત થનારી ભગવાનની મૂર્તિઓની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
આ નગર યાત્રા પ્રસંગે મંદિરમાં સ્થાપિત થનારી ભગવાનની મૂર્તિઓને કુલ ૫ કલાત્મક રથમાં વિરાજિત કરવામાં આવી. જેમાં ૫૫ ફૂટના મયુર રથમાંભગવાન શ્રીઅક્ષર-પુરુષોત્તમ મહારાજ, ભગવાન શ્રીઘનશ્યામ મહારાજનો ઘોડા પરનો રથ, હિમાલય રથ પર બિરાજમાન ભગવાન શિવજી, સિંહ રથ પર રાધા-ગોવિંદજી, પ્રભુ શ્રીરામનો રથ, હાથી રથ પર ભગતજી મહારાજ, હંસ રથ પર શાસ્ત્રીજી મહારાજ અને ગરુડ રથ પર વિરાજમાન યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને શ્રીનીલકંઠ વર્ણીની મુર્તિઓના દર્શન કરી ભક્તો ભાવ-વિભોર બન્યા.
નગર યાત્રાના અન્ય આકર્ષણોમાં નાસિક ઢોલ, આદિવાસી નૃત્ય મંડળી, બાદલપુર નૃત્ય મંડળી, રાજસ્થાન સાંસ્કૃતિક ટ્રેલર, ગેર કર્તા મંડળી, કચ્છી ઘોડી વાલે નૃત્ય કાર, કળશ યાત્રા, ઘૂમર નૃત્ય, ભજન મંડળી, કરતાલ મહિલા મંડળ, નિષંદકા દ્વારા વિવિધ પોશાક પહેરેલા BAPS ના બાળ-બાલિકાઓ, યુવા-યુવતીઓ,મહિલા અને પુરુષ હરિભક્તો એમ કુલ મળીને ૮૦૦થી વધુ કલાકારો દ્વારા રજૂ કરાયેલા મનમોહક પ્રદર્શનોએ અનેરું આકર્ષણ જન્માવ્યું.તદુપરાંત નગર યાત્રાના અવસરને પાવન કરવા ૨૨૦થી વધુ સંતો-મહંતો આ યાત્રામાં જોડાયા હતા. નગર યાત્રાની સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૨૫૦થી વધુ મારવાડી ભક્તો ખડેપગે સેવારત રહ્યા હતા.નગર-યાત્રાના કલાત્મક અને શુશોભિત રથોનો શણગાર અને રચનાનું કાર્ય સંતો-સ્વયંસેવકોએ દિન-રાત પરિશ્રમ કરી કર્યું.
આ ઐતિહાસિક યાત્રાનો શુભારંભ જોધપુરના માનનીય પૂર્વ મેયર રામેશ્વરજી દાધીચ, સૂરસાગરના ધારાસભ્ય દેવેન્દ્રજી જોશી અને શહેરના ધારાસભ્ય અતુલજી ભંસાલી, નગર નિગમ જોધપુર (ઉત્તર અને દક્ષિણ) ના મેયર કુંતીજી દેવડા અને વનિતાજી સેઠના હસ્તે થયો. આ ઉપરાંત અનેક મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી. રાવણ ચબૂતરાથી શરૂ થયેલી લગભગ દોઢ કિલોમીટર લાંબી આ યાત્રા જોધપુરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈને ૫ કિલોમીટરનો પવિત્ર માર્ગ પૂરો કરી ઉમ્મેદ ઉદ્યાન નજીક સંપન્ન થઈ.જોધપુરના રાજમાર્ગો પર નગર યાત્રા સ્વરૂપે રાવણ ચબુતરાએથી શરુ થયેલો ૨ કિમી લાંબો હરિભક્તોનો સમૂહ ૫ કિમીનું અંતર કાપી ઉમેદ ભવન પાસે વિરામ પામ્યો.
૨૫ સપ્ટેમ્બર ગુરૂવારના રોજ, જે ક્ષણની જોધપુર વાસીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ એટલે મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો મુખ્ય વિધિ.સવારે ૬:૪૫ વાગ્યે આ વિધિની શરૂઆત થઈ જશે. જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે. ત્યારબાદ તેઓના આશીર્વાદનો પણ લાભ પ્રાપ્ત થશે.આ સમગ્ર વિધિ પૂર્ણ થયા બાદબપોરે ૧૨ વાગ્યે આમ જનતાના દર્શન માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે.
સાંજે ૫:૩૦વાગ્યે મંદિરનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તેમજ અન્ય મહેમાનો ખાસ ઉપસ્થિત રહેશે.
