વડોદરામાં પ.પૂ.મહંતસ્વામી મહારાજનો ૯૨ મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો

Spread the love

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન: પ. પૂ. મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરવામાં આવ્યું ,અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા, ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ –આદિવાસી વિસ્તારો માટે પ. પૂ. મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો કરાવ્યો શુભારંભ, બી. એ. પી. એસ સંસ્થા દ્વારા બાળકો માટે વિશિષ્ટ યુટ્યુબ ચેનલ‘ BAPS Kids’ નો શુભારંભ ,પ. પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ ‘ ઈન્સાઈટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા’ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું ,બે લાખ જેટલાં હરિભક્તો દ્વારા કરવામાં આવેલી સમૂહ આરતીથી સર્જાયો અલૌકિક માહોલ

વડોદરા

તા.૨ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજવડોદરા ખાતે પ.પૂ.મહંતસ્વામી મહારાજની ૯૨ મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા ભક્તિભાવથી કરવામાં આવી હતી.

પ. પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ, અહંશૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને દર્શાવતી વિશિષ્ટ વિડિયોની સાથે  બી. એ. પી. એસ. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પ. પૂ. મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતાં મનનીય પ્રેરક ઉદ્બોધનો કરવામાં આવ્યા હતા. આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.  

આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારી દ્વારા પ. પૂ. મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું.

પ. પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી. એ. પી. એસ સંસ્થાના ૩ વર્ષથી ૧૩ વર્ષની વય સુધીના ૧૫,૬૬૬ જેટલાં બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે.

મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યવહારિક  જીવનની પ્રેરણા પૂરી પાડે છે.

કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં૧૫,૬૬૬ બાળ-બલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે ૩૧૫ શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય, તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે.

આ અવસરે અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.

પ.પૂ. મહંતસ્વામી મહારાજે પણ સૌને ઉન્નત આધ્યાત્મિક જીવનની પ્રેરણા આપતાં આશીર્વચન દ્વારા કૃતાર્થ કર્યા હતા. તેમણે આશીર્વાદ આપતાં જણાવ્યું, “પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ‘બીજાના આનંદમાં આપણો આનંદ છે.’ ભગવાન જ સર્વકર્તાહર્તા છે. શાસ્ત્રીજી મહારાજે ખૂબ પુરુષાર્થ કરીને આ સંસ્થા સ્થાપી. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે તેનું સંવર્ધન કર્યુંછે.આ સંસ્થા સિદ્ધાંતને વરેલી સંસ્થા છે.આ સંસ્થા સંપની સંસ્થા છે. આ સંસ્થા તે સમજણની સંસ્થા છે.આજે જે ગિનિસ બુકનું સન્માન મળ્યું છે, તેની પાછળ આ બાળકોની કઠણ મહેનત છે અને આ સન્માન તમામ ગુરુઓને સમર્પિત છે.સંતો, કાર્યકર્તાઓ અને વાલીઓએ ખૂબ મહેનત કરી છે, આ તેમનું સન્માન છે.”

સમગ્ર કાર્યક્રમને અંતે લાખો દીવડાઓ દ્વારા સમૂહઆરતી સમયે હૃદયંગમ વાતાવરણ સર્જાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *