કડી

હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર કાર્યક્રમમાં હરિ નામ સંકીર્તન દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા સાથે લોકોના કલ્યાણ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો.આ મહોત્સવ દરમિયાન કુલ ૭ શેરીઓમાં સંકીર્તન યાત્રા યોજાઈ, જેમાં માલ્હારપુરા, પ્રજાપતિ વાસ, ખાટ ચોક રામજી મંદિર, વાલ્મીકી વાસ, આદર્શ હોસ્ટેલ પાછળનો વિસ્તાર, કેશવનગર અને શ્રી વાસનો સમાવેશ થયો હતો.કાર્યક્રમ દરમિયાન ભગવદ ગીતા ના ૧૦૦૦થી વધુ પ્રતિઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ૨૦૦૦થી વધુ લોકો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. સંકીર્તન દ્વારા વિસ્તારોમાં રહેલા લોકોના આધ્યાત્મિક કલ્યાણ માટે હરિનામનો પ્રસાર કરવામાં આવ્યો.આ ભવ્ય આયોજનમાં કડી શહેરના ૧૦૦થી વધુ સેવકો (વોલન્ટિયર્સ) ઉત્સાહપૂર્વક જોડાયા અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.હરે કૃષ્ણ કેન્દ્ર, કડી એ ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ ની પ્રેરણાથી શરૂ કરાયેલ પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ લોકોને આધ્યાત્મિક લાભ પહોંચાડવાનો છે. આ પ્રયત્નો કૃષ્ણકૃપામૃર્તિ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ના વિશ્વ કલ્યાણના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સમર્પિત છે.આવો કાર્યક્રમ કડી શહેરમાં આધ્યાત્મિક ચેતના વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્નો ચાલુ રહેશે.
