બસમાં કુલ 22 મુસાફરો સવાર હતા, 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

નાસિક
મહારાષ્ટ્રના નાશિકમાં એક ભયકંર અકસ્માતની ઘટના બની છે જેમા નાશિકના સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે. બસ સપ્તશ્રૃંગી કિલ્લાથી ખામગાંવ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ નાસિકના પાલક મંત્રી અકસ્માત સ્થળ પર પહોંચ્યા છે. સપ્તશ્રૃંગી કિલ્લા પર સ્થાનિક રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બસ દુર્ઘટનામાં એક મહિલાના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બસમાં કુલ 22 મુસાફરો સવાર હતા. આ અકસ્માત સવારે 6.50 કલાકે થયો હતો. અકસ્માતમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાની માહિતી મળતાં જ પાલક મંત્રી દાદા ભુસે ઘટના સ્થળે પહોચ્યા હતા. સ્થાનિક અહેવાલો મુજબ આ એક મોટી દુર્ઘટના હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે બસ સીધી 400 ફૂટ નીચે ઉંડી ખીણમાં પડી હતી. બસ રાતભર સપ્તશ્રૃંગી કિલ્લા પર રોકાઈ હતી અને આજે સવારે ફરીથી ખામગાંવ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
