રવિન્દ્ર જાડેજાને બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં જયારે બેસ્ટ ફિલ્ડરનો મેડલ મળ્યો હતો ત્યારે તેના માટે મોટી સ્ક્રીન પર વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો

ધર્મશાલા
ભારતે વન-ડે વર્લ્ડ કપ2023માં તેની પાંચમી મેચમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ ભારતની સતત 5મી જીત હતી. પરંતુ ભારતીય ખેલાડીઓને જેટલી ખુશી મેચ જીતવાની થઇ તેનાથી વધુ ખુશી પોસ્ટ મેચ સેરેમનીમાં જોવા મળી હતી. ટીમના બેસ્ટ ફિલ્ડરનો મેડલ જીતવા અને આ જીતને સેલિબ્રેટ કરવાની ઉત્સુકતા જોવા લાયક હોય છે. મેડલ ટીમના ગમે તે ખેલાડીને મળે પરંતુ તેની ઉજવણી ટીમનો દરેક ખેલાડી કરતો હોય છે. ભારતીય ટીમના ફિલ્ડીંગ કોચ ટી. દિલીપ મેડલ આપવાની જુદી જુદી રીત અપનાવતા હોય છે. આવી જ એક નવી રીત ગઈકાલની મેચ બાદ જોવા મળી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઘણાં કેચ છુટ્યા પરંતુ ફિલ્ડીંગ કોચ ટી. દિલીપે કહ્યું આવું તો થતું રહે છે. જો કે ટીમે વાપસી કરી અને ખુબ સારી ફિલ્ડીંગ કરી હતી. આ મેદાન પર ડાઈવ લગાવવી ખુબ જ ખતરનાક છે કારણ કે આ વખતે આઉટ ફિલ્ડ એટલી સારી નથી. આઉટફિલ્ડ સારી ન હોવા છતાં ભારતીય ખેલાડીઓ એ કેટલાંક સારા કેચ પકડ્યા અને શાનદાર ફિલ્ડીંગ કરી હતી. આ માટે શ્રેયસ અય્યરને બેસ્ટ ફિલ્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સ્પાઈડરકેમ દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. રવિન્દ્ર જાડેજાને બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં જયારે બેસ્ટ ફિલ્ડરનો મેડલ મળ્યો હતો ત્યારે તેના માટે મોટી સ્ક્રીન પર વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે જયારે શ્રેયસ અય્યરને બેસ્ટ ફિલ્ડરનો મેડલ મળ્યો તો ભારતીય ટીમના ફિલ્ડીંગ કોચે મેદાન પરના સ્પાઈડરકેમનો ઉપયોગ કર્યો હતો. સ્પાઈડરકેમ પર એક પ્લેટ લટકી હતી જેના પર શ્રેયસ અય્યરની તસવીર હતી અને તેના પર અય્યરનું નામ લખેલું હતું. જેવી રીતે જ બધાને ખબર પડી કે આ શ્રેયસ અય્યર છે તો તમામ ખેલાડીઓ ઝૂમવા લાગ્યા હતા અને રવિન્દ્ર જાડેજાએ તેને મેડલ આપ્યો હતો.
