આ મામલે બીજેપીના નેતાઓ પણ કટાક્ષ કરી રહ્યા છે, ઈન્ડિયા ગઠબંધન દ્વારા હજુ સુધી વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરાયા નથી

લખનઉ
ઈન્ડિયા ગઠબંધનમાં એક વિચારધારા સાથે આગળ વધવાની વાતો કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચેનું વાકયુદ્ધ સમી ગયું છે, જોકે બંને પાર્ટીઓ વચ્ચે હજુ પણ અંદરોઅંદરની તીખાશ સંપૂર્ણ સમાપ્ત થઈ હોય તેવું લાગી રહ્યું નથી. દરમિયાન લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલય બહાર લગાવાયેલ પોસ્ટરો ચર્ચામાં આવી ગયા છે, જેને લઈ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોસ્ટરમાં અખિલેશ યાદવને ભાવિ વડાપ્રધાન દર્શાવાયા છે. આ મામલે બીજેપીના નેતાઓ પણ કટાક્ષ કરી રહ્યા છે.
અખિલેશ યાદવના ભાવિ પીએમ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના નેતા ફખરુલ હસન ચાંદ તરફથી આ પોસ્ટરો લગાવ્યા છે. આ અંગે હસન ચાંદને કહ્યું કે, આમ તો અખિલેશ યાદવનો જન્મ દિવસ એક જુલાઈએ હોય છે, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓ તેમના પ્રત્યે અપાર પ્રેમ અને સન્માન દર્શાવવા માટે ઘણીવાર જન્મદિવસ ઉજવે છે. આજે પણ પક્ષના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનો જન્મદિવસ ઉજવ્યો. તેમણે પાર્થના કરી કે, અખિલેશ યાદવ દેશના વડાપ્રધાન બને. અખિલેશ નિશ્ચિત એક શ્રેષ્ઠ વડાપ્રધાન બનશે અને દેશની સેવા કરશે. ઉલ્લેખનિય છે કે, ઈન્ડિયા ગઠબંધન દ્વારા હજુ સુધી વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરાયા નથી. ગઠબંધનમાં હાલ માત્ર સામુહિક નેતૃત્વની વાત થઈ રહી છે.
અખિલેશના પોસ્ટર અંગે ભાજપ નેતા અને ઉત્તર પ્રદેશના મંત્રી દાનિશ આઝાદ અંસારીએ કહ્યું કે, કોઈપણ વ્યક્તિને દિવસમાં સપનું જોતા કોઈ ન રોકી શકે, જોકે તમામે પોતાની ક્ષમતાઓ મુજબ સપનાં જોવા જોઈએ. આને જ કહેવાય છે ‘મુંગેરી લાલ કે હસીન સપને’.
સમાજવાદી પાર્ટી દ્વારા અખિલેશને પોસ્ટરમાં ભાવિ વડાપ્રધાન દર્શાવાતા અન્ય એક પક્ષે પણ કટાક્ષ કર્યો છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના વડા ઓ.પી.રાજભરાએ કહ્યું કે, તમામ નેતાઓનું સ્વપ્ન હોય છે કે, મુખ્યમંત્રી બન્યા છીએ તો વડાપ્રધાન બની જઈએ… સ્વપ્ન જોવું ખોટી વાત નથી, પરંતુ તે માટે કામ કરવું પડે છે, જે તેમણે કર્યું નથી… તેઓ હસીને પાત્ર બની રહ્યા છે.
