ભાજપ સરકારના આ અક્ષમ્ય ગુનાની સજા નિર્દોષ બાળકો ભોગવી રહ્યા હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ

નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના કાનપુરની એક સરકારી હોસ્પિટલમાં 14 બાળકોને સંક્રમિત લોહી ચઢાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બાળકોને એચઆઈવી એઈડ્સ, હેપેટાઈટિસ બી અને સી જેવી બીમારીઓ થઈ ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર અને યુપી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ડબલ એન્જિનની સરકારે આરોગ્ય વ્યવસ્થાને પણ ડબલ બીમાર કરી નાખી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણ લખ્યું કે, ડબલ એન્જિનની સરકારે આરોગ્ય વ્યવસ્થાને પણ ડબલ બીમાર કરી નાખી છે. યુપીના કાનપુરમાં એક સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાના 14 બાળકોને સંક્રમિત લોહી ચઢાવી દીધુ હતું. જેના કારણે બાળકોને એચઆઈવી એઈડ્સ, હેપેટાઈટિસ બી અને સી જેવી ચિંતાજનક બીમારીઓ થઈ ગઈ છે. આ ગંભીર બેદરકારી શરમજનક છે.
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ભાજપ સરકારના આ અક્ષમ્ય ગુનાની સજા નિર્દોષ બાળકો ભોગવી રહ્યા છે. ગઈકાલે મોદીજી કાલે આપણને 10 સંકલ્પો લેવીની મોટી-મોટી વાતો શીખવી રહ્યા હતા. શું તેમણે ક્યારેય પોતાની ભાજપ સરકારની નખ જેટલી જવાબદારી પણ નક્કી કરી છે.
કાનપુરની લાલા લાજપત રાય હોસ્પિટલમાં 14 બાળકોને સંક્રમિત લોહી ચઢાવી દેવામાં આવ્યુ હતું. જે બાદ તેમની તપાસમાં જાણવા મળ્યું કે, આ બાળકોમાં એચઆઈવી એઈડ્સ અને હેપેટાઈટિસ બી અને સીનું સંક્રમણ ફેલાઈ ગયુ છે. ડોક્ટર્સે જણાવ્યું કે, આ લોહી રક્તદાન હેઠળ લેવામાં આવ્યું હતું. સંક્રમિત બાળકોમાંથી સાતમાં હેપેટાઈટિસ બી, પાંચમાં હેપેટાઈટિસ સી અને બે બાળકોમાં એચઆઈવીની પુષ્ટિ થઈ છે. આ બાળકો કાનપુર દેહાત, ફરુખાબાદ, ઈટાવા, ઔરૈયા અને કન્નૌજ સહિત ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી આવે છે.
