છપરામાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રામાં અથડામણ થતાં છથી વધુને ઈજા

Spread the love

હાલ પોલીસે આ વિસ્તારમાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે, 10 લોકોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી


છપરા
બિહાર ના બેગૂસરાય, ઓરંગાબાદ બાદ હવે છપરામાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રા પર પથ્થરમારો થયા બાદ ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટના ભગવાન બજાર પોલીસ સ્ટેશન હેઠળના નવા બજારમાં બની છે. સુરક્ષાને ધ્યાને રાખી હાલ અનુમંડળ વિસ્તારમાં 2 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. શુક્રવારે વહેલી સવારે 4.00 કલાકે મૂર્તિ વિસર્જન દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ધાબા પરથી પથ્થમારો થવા લાગ્યો અને જોતજોતામાં બંને જૂથો મારામારી પર ઉતરી આવ્યા. આ ઘટનામાં 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ પોલીસે આ વિસ્તારમાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે. 10 લોકોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતા અહેવાલો મુજબ ગુરુવારે મોડી રાત્રે મૂર્તિ વિસર્જનની યાત્રા યોજાઈ રહી હતી, ત્યારે એક ધાર્મિક સ્થળ નજીક ગીત વગાડવા મુદ્દે વિવાદ થયો હતો. એવો આરોપ લાગવાયો છે કે, વિસર્જનની યાત્રા દરમિયાન પોલીસ પાછળ જતી રહી હતી. બંને તરફી ભારે ઘર્ષણ થયું, પથ્થરમારો કરાયો, જેમાં અડધો ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. એવું કહેવાય છે કે, આ માટે અગાઉથી જ તૈયારીઓ કરી રાખવામાં આવી હતી.
સૂચના મળતા જ ભગવાન બજાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાલ ઘટનાસ્થળે છે. ડીએમ સંતોષકુમાર, એસપી ડૉ.ગૌરવ મંગલા, એસડીઓ સંજય રાય પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંને જૂથોના લોકોને વિખેર્યા હતા. ત્યારબાદ પોલીસની દેખરેખ હેઠળ વિસર્જન યાત્રાને આગળ લઈ જવાઈ છે. હાલ ભગવાન બજારમાં શાંતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *