દિલ્હીના ઘણાં વિસ્તારોમાં એક્યુઆઈ લેવલ 400થી ગગડીને સીધો 100 સીધો પહોંચી ગયો

નવી દિલ્હી
દિવાળીથી પહેલા હવામાનમાં એકાએક પલટો આવતાં દિલ્હી-એનસીઆરના વિસ્તારમાં રહેતા લોકોને મોટી રાહત મળી. દિલ્હી-નોઈડાના અનેક વિસ્તારોમાં રાતે ઝરમર વરસાદને લીધે એકાએક પ્રદૂષણનું સ્તર ગગડી ગયું. આ સાથે જ તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. દિલ્હીના ઘણાં વિસ્પરોમાં એક્યુઆઈ લેવલ 400થી ગગડીને સીધો 100 સીધો પહોંચી ગયો હતો.
માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હીના બવાના, કંઝાવલા, મુંડાકા, જાફરપુર, નજફગઢ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં વરસાદ પડ્યો હતો. આઈએમડીના અહેવાલ અનુસાર બહાદુરગઢ, ગુરુગ્રામ, માનેસર સહિત ઘણા વિસ્તારો ભિંજાયા હતા. તેની સાથે જ હરિયાણાના રોહતક, ખરખૌદા, મટ્ટનહેલ, ઝઝ્ઝર, ફરુખનગર, કોસલીની આજુબાજુના વિસ્તારોમાં પણ આજે વરસાદ થવાના સંકેત મળી રહ્યા છે જેનાથી પ્રદૂષણથી મોટાપાયે રાહત મળવાના સંકેત છે.
હવામાન વિભાગે જણાવ્યું કે ગુરુવારે મોડી રાતે દક્ષિણ-પશ્ચિમ્ દિલ્હી, એનસીઆર (ગુરુગ્રામ)ની સાથે હરિયાણાના જુદા જુદા સ્થળોએ વરસાદ નોંધાયો હતો. ગોહાના, ગન્નોર, મહમ, સોનીપત, ખરખૌદા, ચરખી દાદરી, મટ્ટનહેલ, ઝઝ્જર, કોસલી, સોહના, રેવાડી, બાવલમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. આજે પણ દિલ્હીમાં સામાન્ય વાદળો છવાઈ રહેશે અને હળવા વરસાદની આશા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆર હાલના દિવસોમાં પ્રદૂષણના સકંજામાં છે. એવામાં દિલ્હી સરકારે આર્ટિફિશિયલ વરસાદ કરાવવાની તૈયારી કરી લીધી છે. દિલ્હીમાં 20 અને 21 નવેમ્બરની આજુબાજુ કૃત્રિમ વરસાદ કરાવવામાં આવી શકે છે પણ તે પહેલા સરકારે પાયલટ સ્ટડી કરાવવાનો નિર્ણય કર્યો છે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચો થશે.
