દેહરાદૂનમાં જ્વેલરીના શોરુમમાં બદમાશો ઘૂસી ગયા અને બંદૂકની અણીએ 25 મિનિટમાં જ 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી

દહેરાદૂન
દેશમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે તેમજ લૂંટના બનાવોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે દેહરાદૂનમાં બદમાશોએ બંદૂકની અણીએ જ્વેલરીના શોરુમમાં 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો.
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં રિલાયન્સ જ્વેલરીના શોરુમમાં બદમાશો ઘૂસી ગયા હતા અને બંદૂકની અણીએ ફક્ત 25 મિનિટમાં જ 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત શોરુમમાં કેટલાક કર્મચારીઓને માર મારવામાં પણ આવ્યો હતો. આ લૂંટની ઘટના ગઈકાલે સવારે શહેરના રાજપુર રોડ સ્થિત રિલાયન્સના જ્વેલરી શોરૂમમાં બની હતી જ્યારે જ્વેલરીને સજાવવાની તૈયારીઓ ચાલી રહી હતી.
આ ઘટનાની માહિતી આપતા એસપી સરિતા ડોભાલે કહ્યું હતું કે લૂંટના સીસીટીવી મળી આવ્યા છે જેના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ લૂંટના મામલે શોરૂમ મેનેજર સૌરભ અગ્રવાલ તરફથી કેસ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. આ ઉપરાંત દેહરાદૂનના એસએસપી અજય સિંહે જણાવ્યું કે શોરૂમમાંથી આશરે 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. બદમાશોને શોધવા માટે વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બદમાશો જે બાઇક પર આવ્યા હતા તેને છોડીને ફરાર થઇ ગયા હતા જો કે પોલીસે લૂંટારુઓની બે બાઇક કબજે કરી છે. આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.